
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના જુદા જુદા કાઉન્સીલર્સ દ્વારા શહેરના ભૂગર્ભ ગટરના કામો, સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો, તેમજ જુદી જુદી ગ્રામ પંચાયતોના મહેસુલ, સનદ, ગ્રામ્ય માર્ગો, ગ્રામ્ય ક્ષેત્રે વીજળી, બસ વ્યવહાર તેમજ નાણાપંચની ગ્રાન્ટ વગેરે જેવી બાબતોની રજૂઆતો કરવામાં આવી હતી.
આ તમામ રજૂઆતોને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ ધ્યાને લઈ સ્થળ પર જ સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તમામ પ્રશ્નોનો તાત્કાલિક રીતે સચોટ નિકાલ કર્યો હતો.
આ લોક સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટરશ્રી એન. કે. મુછાર, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સંદીપસિંહ ઝાલા, સહકારી અગ્રણીશ્રી મગનભાઈ વડાવીયા, મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી દીપાબેન કોટક, મોરબી ગ્રામિણ મામલતદારશ્રી નિખિલ મહેતા, અગ્રણીશ્રી જયુભા જાડેજા તેમજ ભાવેશભાઈ કણજારિયા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના કાઉન્સીલર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
