



વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસે નિમિત્તે આયોજીત દિવ્યાંગો માટેના મેડિકલ કેમ્પમાં સહભાગી થતા કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ૭૨ દિવ્યાંગો વિદ્યાર્થીઓને વ્હીલચેર, ટ્રાઈસિકલ અને વોકરનું વિતરણ કરાયું બાળકોને બાળપણથી જ ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિવસ નિમિતે પથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તથા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ઉમરા દિવ્યાંગ ભવન ખાતે આયોજીત ૧૪માં મેડિક્લ કેમ્પમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહભાગી થયા હતા. આ કેમ્પમાં ધો. ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં ૪૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી સારવાર પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ૭૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ૩૦ વ્હીલચેર, ૩૦ ટ્રાઈસિકલ અને ૧૨ વોકર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતુ કે, આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલી હરિફાઈને સકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે આશીર્વાદ સમાન નીવડે છે, અને વ્યક્તિને બહેતર જીવન પ્રદાન કરે છે. જ્યારે હરિફાઈ નકારાત્મક સ્વરૂપમાં લેવામાં આવે તો તે તણાવ, દુઃખ અને નકારાત્મકતાનું કારણ બની શકે છે. નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ કહ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગો માટે અનેક યોજના અમલી બનાવી છે જેનો દિવ્યાંગજનોએ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓને કેક ખવડાવી વડાપ્રધાનશ્રીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડીયા, સામાજિક અગ્રણી રૂપલબેન શાહ, કોર્પોરેટરો, અગ્રણીઓ અને કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.