પશુ સેવાનું ભગીરથ કાર્ય કરતા આણંદ જિલ્લાના ફરતા પશુ દવાખાના

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસે આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે સાત ફરતા પશુ દવાખાના મારફત પશુઓની સેવાનું ભગીરથ કાર્ય આરંભાયુ હતુ. આણંદ તાલુકાના મોગર અને નાપાડ (તળપદ), આંકલાવ તાલુકાના બામણગામ, ઉમરેઠ તાલુકાના પણસોરા, ખંભાત તાલુકાના રાલજ તથા જીણજ તેમજ પેટલાદ તાલુકામાં પાલજ ખાતે એમ કુલ સાત ફરતા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે.

આ પશુ દવાખાના પૈકી તાજેતરમાં આણંદના નાપાડ (તળપદ) ફરતા પશુ દવાખાનાના ડૉ. વિશાલ ચાવડા અને પાયલોટ અતુલભાઈ રોહિત ઓનડ્યૂટી સ્ટાફ તરીકે પોતાના રોંજિદા રૂટ મુજબ વાંસખીલિયા ગામ ખાતે ફરજ ઉપર હાજર હતા. તેજ દિવસે ગામના જ એક પશુપાલક ભાઇની બકરી માર્ગ પસાર કરતા સમયે એક વાહન સાથે અથડાઇને દૂર ફંગોળાઇ ગઈ હતી જેથી બકરીને પગમાં ગંભીર ઈજા પહોંચતા બકરીનો પગ ભાંગી ગયો હતો. બકરીના માલિક પશુપાલક મેહુલભાઈ તેમની બકરી સાથે થયેલ આ બનાવથી ચિંતામાં મૂકાઇ ગયા હતા. પરંતુ સદનસીબે ફરતા પશુ દવાખાનાની ટીમ એ દિવસે એજ ગામમાં હાજર હોવાથી બકરીનો જીવ બચાવી લેવાયો હતો.

આ ફરતા પશુ દવાખાનાની ટીમના ડૉક્ટર અને પાયલોટ દ્વારા તાત્કાલિક ધોરણે બકરીને થયેલી ઇજાઓ અને બકરીના પગે થયેલ ફ્રેકચરને એક કલાકની મહેનત અને સૂઝ-બુઝ બાદ બકરીના પગે વ્યવસ્થિત રીતે સારવાર આપી પગમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો મારી અને ઇંજેક્શન આપીને બકરીનો જીવ બચાવી લીધો હતો. આમ નાપાડ (તળપદ) નું આ ફરતું પશુ દવાખાનું વાંસખીલિયા ગામના પશુપાલક માટે આશીર્વાદરૂપ પૂરવાર થયુ હતું. પશુપાલકે ફરતા પશુ દવાખાનાના ડૉક્ટર અને પાયલોટ તેમજ તેમની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સાત ફરતા પશુ દવાખાના દ્વારા ૭૧,૯૬૩ પશુઓની સારવાર કરવામા આવી છે. સારવાર કરવામાં આવેલ આ પશુઓ પૈકી ઇમરજન્સીમાં ૮,૮૧૨ જ્યારે દસ ગામના શિડ્યુલ દરમિયાન ૬૩,૧૫૧ પશુઓને જરૂરી સારવાર અપાઈ છે. આ તમામ કેસોમાં ૨૬,૧૬૬ મેડિકલ કેસ, ૨૬,૨૧૪ મેડિસિન સપ્લાય કેસ, ૧૪,૦૩૧ સર્જિકલ કેસ, ૫૨૨૮ પ્રસુતિના કેસ અને ૩૨૪ અન્ય કેસોનો સમાવેશ થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *