
કેન્દ્ર સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ૬૫ ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક, સામાજિક, આર્થીક, રોજગારલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે.આ યોજનાઓનો અનુસુચિત જાતિ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. સરકારશ્રી વંચિતો, શોષિતો, ગરીબો અને છેવાડાના લોકોની ઉન્નતી માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવા સંકલ્પબદ્ધ છે. અનુસુચિત જાતિ વર્ગના લોકોના સામાજિક અને શૈક્ષણિક પ્રસંગોના ઉપયોગ હેતુ સમગ્ર રાજ્યમાં દરેક જીલ્લા મથકે “ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન” નું ભવ્ય નિર્માણ કરેલ છે જેનો અનુસુચિત જાતિ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.
હાલમાં અનુસુચિત જાતિ વર્ગના સ્નાતક કક્ષાના વિધાર્થીઓ પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે સરકારી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. રાજ્ય સરકારશ્રીએ જે રીતે જીલ્લા મથકે “ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન” નું ભવ્ય નિર્માણ કરેલ છે તે મુજબ અનુસુચિત જાતિ વર્ગના સ્નાતક અને પૂર્વ સ્નાતક કક્ષાના વિધાર્થીઓ સરકારી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે હેતુ સમગ્ર રાજ્યમાં દરેક જીલ્લા મથકે “ડૉ.બાબાસાહેબ આંબેડકર લાઈબ્રેરી”નું નિર્માણ થાય તે માટે ખાસ બજેટની જોગવાઈ કરવા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેદ્ર હિરવાણીયા દ્વારા ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી