પોલીસ કર્મયોગીઓની સુવિધામાં સતત વધારો કરવા રાજ્ય સરકાર કાર્યરત

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું

-: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી :-

● પોલીસકર્મીઓ પોતાના પરિવારજનો સાથે સગવડતાથી રહી શકે તે માટે રાજ્ય સરકાર કાર્યરત

● ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ અવિરતપણે ચાલુ રહેશે

● વ્યાજખોરોના દૂષણમાંથી લોકોને મુક્ત કરાવવા સરકાર કટિબદ્ધ

ગુજરાત રાજ્યના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. 

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.12.80 લાખના ખર્ચે પોલીસ આવાસોનું તથા રૂ. 2.61 લાખના ખર્ચે રૂરલ પોલીસ સ્ટેશનના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. નવનિર્મિત ધોળકા પોલીસ આવાસ આશરે 7855.856 ચો. મી જેટલી જગ્યામાં નિર્માણ પામ્યું છે તથા નવનિર્મિત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન 1504.512 ચો.મી. જેટલી જગ્યામાં નિર્માણ પામ્યું છે.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નાગરિક અને પોલીસકર્મીની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાયું છે. તથા પોલીસકર્મી તેમના પરિવારજનો સાથે સારી સગવડથી રહી શકે તેવા આવાસનું નિર્માણ કરાયું છે.

મંત્રીશ્રી સંઘવીએ પોલીસની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે, પોલીસ એટલે શું તે સમજવું હોય તો નજીકથી એમના જીવનને નિહાળવું જરૂરી છે. આજે કોઈપણ આપત્તિ સમયે સૌથી પહેલાં તમારા દ્વારે પહોંચે તે પોલીસ. તેમણે કહ્યું કે, હમણાં જ લેવાયેલ જુનિયર કલાર્કની પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ યોગ્ય સમયે સ્થળ પર પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસે પણ ઉત્તમ કામગીરી કરી છે.

શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ જિલ્લા પોલીસને અભિનંદન આપતા કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા 45 દિવસમાં પારદર્શકતાથી 500થી વધારે જમીનોની પેન્ડિંગ ફાઈલોને તટસ્થ રીતે ક્લીઅર કરવાની કામગીરી કરી છે

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વ્યાજખોરોના દૂષણમાંથી લોકોને મુક્ત કરાવવા કટિબદ્ધ છે. આજે ગુજરાત પોલીસે તાલુકા મથકો સુધી જઈને 3500થી વધારે લોકદરબાર યોજીને વ્યાજખોરોના ચક્રમાંથી લોકોને બચાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ અવિરતપણે ચાલી રહી છે.

ગૃહરાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરહંમેશ છેવાડાના લોકોની ચિંતા કરી તે દિશામાં કામગીરી કરી છે. આજે આત્મનિર્ભર સ્વનિધિ યોજનાના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને લાખો રૂપિયાની લોન મળતી થઈ છે જેના થકી તેઓ પોતાનો ધંધો ચાલુ કરી પગભર થઈ શકે.

શ્રી સંઘવીએ પોલીસને સૂચન કરતાં કહ્યું હતું કે, નાગરિકોને મળવા તથા તેમને સાંભળવા માટે પોલીસે યોગ્ય સમય આપવો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા કટિબદ્ધ છે. પોલીસ કર્મચારીના પરિવારજનોને પાયાની સુવિધાઓ તથા રહેવા માટે મોકળાશ મળી રહે તે રીતે આવાસનું બાંધકામ કરાયું છે.

આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી હાર્દિકભાઈ પટેલ, શ્રી કાળુભાઇ ડાભી અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી વી. ચંન્દ્રશેખર, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા તથા જિલ્લાના રાજકીય પદાધિકારીશ્રી, પોલીસ અધિકારીશ્રીઓ સહિતના  લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *