
વિજયનગરની પોળો પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. જેના થકી રોજગારીની તકો ઉભી થશે – મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર

સાબરકાંઠા જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.








આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે. આદિવાસી લોકોના વિકાસ માટે જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના, વન અધિકાર અધિનિયમ ૨૦૦૬, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકરી યોજનાઓ થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. રેસીડેન્સીયલ શાળાઓ,આશ્રમ શાળાઓનું નિર્માણ થકી ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પુરી પાડી છે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતુ કે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.આદિવાસી લોકોના વિકાસ અર્થે અનેક વિધ યોજનાઓ અમલી છે. પહાડી વિસ્તારોના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ જેવી યોજના અમલી છે.
વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અને આદિવાસી વિકાસ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, અગ્રણીશ્રી લુકેશભાઈ , જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, પ્રયોજના વહીવટદારશ્રી ખેડબ્રહ્મા જે. જે નિનામા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ,વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.