
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જાતિ,જ્ઞાતિ કે પ્રાંતથી પર રહી માત્ર દેશના નાગરિકોની સુખાકારી અને જનહિતને કેન્દ્રમાં રાખે છે: શિક્ષણ રાજ્યમંત્રી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ‘આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયા હતા, તેમજ લાભાર્થીઓ સહિત ગ્રામજનોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાઓથી અવગત કરવા અને આ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તા.૦૨ જી ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
શિક્ષણમંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભો, આયુષ્માન આયુષ્માન કાર્ડ એનાયત કરાયા
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે દેશમાં સામાજિક અને જનસુખાકારીના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં દરેક ગામોમાં PHC/CHC સેન્ટરો પર આરોગ્ય કેમ્પો અને આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે સિકલસેલ એનિમીયાને જડમૂળમાંથી નાબૂદ કરવા તેમજ એક પણ ટી.બી.નો દર્દી ન રહે માટે સરકાર ખૂબ કાળજી લઇ રહી છે એમ જણાવી રૂ.૧૦ લાખનું આરોગ્ય કવચ પૂરું પાડતી આયુષ્માન ભારત યોજના અંગે સમજ આપી આ યોજનાનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ જાતિ,જ્ઞાતિ કે પ્રાંતથી પર રહી માત્ર ભારતીય નાગરિકોની સુખાકારી અને જનહિતને કેન્દ્રમાં રાખે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કામરેજ તાલુકામાં ઓરણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સઘન આરોગ્ય કામગીરી સહિત આયુષ્માન યોજનાના લાભો આપવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ, ઉપપ્રમુખ હર્ષદભાઈ, કારોબારી અધ્યક્ષ તેજલબેન, સરપંચ ઝીણીબેન, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, કામરેજ ટી.એચ.ઓ ડૉ.શાંતા કુમારી, સિનિયર મેડિકલ ઓફિસર સુધીર સિંહા અને આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ, મેડિકલ સ્ટાફ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.