અમે નસીબદાર છીએ કે અમને સરકાર સાથે કામ કરવાની તક મળશેઃ નવનિયુક્ત કર્મચારીઓ
ભારત સરકાર દ્વારા 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવાના ઉદ્દેશ્ય હેઠળ 26.09.2023ના રોજ સરદાર પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ, શાહીબાગ, અમદાવાદ ખાતે નવમો “રોજગાર મેળો”નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ નવમા “રોજગાર મેળા”માં દેશભરના વિવિધ વિભાગોમાં નવા નિમણૂક પામેલા 51,000 જેટલા નિમણૂંક પત્રોનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિતરણ કર્યું છે. પ્રધાનમંત્રીએ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ પ્રસંગે નિમણૂક પામેલાઓને સંબોધિત કર્યા છે અને અભિનંદન આપ્યા છે.

રોજગાર મેળો દેશભરમાં 46 સ્થળોએ યોજાયો હતો. અમદાવાદ ખાતે યોજાયેલા “રોજગાર મેળા”માં, સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સરકારના જુદા જુદા વિભાગોમાં 143 નિમણૂક પામેલા યુવાનોમાંથી 25 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દરેક સરકારી નોકરી મેળવનાર યુવાઓ દેશના વિકાસમાં સહભાગી બને પ્રજાના કામો કરવાની તમને તક મળી છે. નિમણુક પામેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાઓને મોટા પ્રમાણમાં નોકરી મળી રહી છે, અમે નસીબદાર છીએ કે અમને સરકાર સાથે કામ કરવાની તક મળશે.

કુલ 143 નવા નિમણૂક પામેલા ઉમેદવારોમાં, પોસ્ટ વિભાગમાં 82, આવકવેરા વિભાગમાં 54, કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં 04, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિભાગમાં 02, નાણાકીય સેવાઓ વિભાગમાં 01નો સમાવેશ થાય છે.
આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે જેમાં પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તથા અન્યો મંત્રાલયનો સમાવેશ થાય છે.

રોજગાર મેળો એ રોજગાર નિર્માણને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ, કર્મયોગી પ્રરંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં ‘ક્યાંય પણ કોઈપણ ઉપકરણ’ લર્નિંગ ફોર્મેટ માટે 680થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે સંસદ સભ્યો હસમુખ પટેલ, કિરીટ સોલંકી સહિત ધારાસભ્યો તથા શ્રી નિરજ કુમાર, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, શ્રીમતી સુચિતા જોષી, પોસ્ટ માસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પ્રદેશ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.