વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ

   ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઇ મોદીએ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મા અંબા ના ઉપાસક અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

    અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એવા શક્તિદ્વાર પાસે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.   અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ અંબાજીની સ્વચ્છતા સાથે મંદિરના ચાચર ચોકની સુંદર સજાવટ કરવામાં આવી છે તથા મંદિરને અલગ અલગ પ્રકારના રંગ બેરંગી ફુલોથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરના ચાચર ચોકમાં ભજન મંડળી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી   મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે.      આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી,રાજ્ય સભા સાંસદશ્રી બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ડી.જી.પી. શ્રી વિકાસ સહાય, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ મંત્રીશ્રી અને સંગઠનના પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *