આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે શિક્ષકોને CPRની તાલીમ અપાઈ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી – કર્ણાવતી મહાનગર મેડિકલ સેલ દ્વારા શિક્ષકોને CPR તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ હવે રાજ્યના શિક્ષકોને માસ CPR તાલીમ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળી કે.જી થી પી.જી સુધીના ૮૭૦૦૦ હજારથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં એક સાથે ૩૭ મેડિકલ કૉલેજ અને અન્ય ૧૪ સ્થળોએ ૨૫૦૦થી વધુ ડૉક્ટર્સ દ્વારા રાજ્યના ૮૭ હજારથી વધુ શિક્ષકોને કાર્ડીયો પલ્મોનરી રેસીસિટેશન – CPRની તાલીમ અપાઈ આપવામાં આવી હતી. અમદાવાદ બી.જે.મેડીકલ કોલેજ ખાતે અમદાવાદ સ્કૂલ બોર્ડના ૫૦૦ શિક્ષકો તેમજ અમદાવાદ ગામ્યના ૨૫૦ એમ થઈને કુલ ૭૫૦થી વધુ શિક્ષકોએ તાલીમ લીધી હતી. અમદાવાદ બી.જે.મેડીકલ કોલેજ ખાતે આયોજિત કાર્ડીયો પલ્મોનરી રેસીસિટેશન – CPRની તાલીમ કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સામાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં ૫ થી ૧૦ મિનિટના ‘ગોલ્ડન અવર્સ’માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા CPR તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હ્રદય રોગના હુમલાથી નાની વયે મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવતા માનવીની મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના પોલીસ જવાનો બાદ હવે રાજ્યના શિક્ષકો પણ મદદરૂપ બને તેવા શુભ આશયથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ તાલીમ આપવાનું નક્કી કરાયું હતું. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં સી.પી.આર એક એવી ટેકનિક છે, જેનાથી શરૂઆતી ૫ થી ૧૦ મિનિટમાં વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે. સરકાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી સમાજ અને લોકો માટે કંઇક કરી છૂટવાની હકારાત્મક ભાવના સાથે વિવિધ સ્થળો ખાતે સી.પી.આરની તાલીમનું આયોજન થઈ રહ્યું છે. સી.પી.આર તાલીમ સમાજ અને પરિવાર માટે આશીર્વાદ સમાન છે. આ તાલીમ અંગે તમામ લોકોમાં અવેરનેસ આવે તે જરૂરી છે. શિક્ષકોના શિરે બાળકોના ભવિષ્યના નિર્માણની સાથે સાથે હવે અમૂલ્ય જિંદગી બચાવવાના ભગીરથ કાર્યથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે એવો વિશ્વાસ આરોગ્ય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ અવસરે નરોડાના ધારાસભ્ય શ્રી પાયલ કુકરાણી, પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક શ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડેન્ટ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષકો, અધ્યાપકો તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *