
સરકારશ્રીની અનેક યોજનાના લાભો ડીબીટી મારફતસીધા બેંકમાં જમા કરાતા નાગરિકોને વચેટીયાઓથી દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ તેમજ તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે વ્યારા તાલુકાના વડકુઇ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે મોદીજીની ગેરંટી વાડી ગાડી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકો દ્વારા ઘરે ઘરે જઇ નાગરિકોના બેંકના ખાતા ખોલાવ્યા છે. જેથી આજે દરેક નાગરિક બેંક અને ટેકનોલોજીથી અવગત થયા અને સરકારશ્રીની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીયાઓથી નાગરિકોને દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે.
મંત્રીશ્રીએ વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત કાર્ડ થકી નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. એમ જણાવી વડકુઇ ગામમાં 95 ટકા લોકોના આયુષ્મા ભારત કાર્ડ બની ગયા છે બાકી રહેલા નાગરિકોને આજની યાત્રામાં આ કાર્ડ બનાવી લેવા અનુરોધ કર્યો હતો. આ સાથે પ્રધાનમંત્રી અન્ન કલ્યાણ યોજના અંતર્ગત દેશની 80 કરોડ જનતાને 2028 સુધી નિ:શુલ્ક અનાજનો લાભ આપવાના છે એમ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ગ્રામજનોને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પ્લાસ્ટીકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વહિવટી તંત્ર દ્વારા પહેલી વાર સુચના અપાશે, બીજી વાર દંડ થશે અને ત્રીજીવાર દુકાન બંધ થશે એમ રમુજી પરંતુ મહત્વપુર્ણ સુચના ગામના દુકાનદારોને આપી હતી.
મંત્રીશ્રીએ આયુષ્માન ભારત કાર્ડ,ઉજ્જ્વલા યોજના, વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી યોજનાના લાભ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તથા લાભાર્થીઓ દ્વારા રજુ કરેલ પ્રશ્નો અંગે ત્વરીત નિરાકરણ કરી વિવિધ યોજનાનો લાભ અપાવવા ટીડીઓશ્રી, તલાટી તથા પદાધિકારીઓને સુચના આપી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીના ઉદબોધનની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. પોતાના ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર મહિલાઓને,બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રાથમિક શાળા વડકૂઈની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા મનમોહક સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. તથા સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ થીમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને રાસાયણિયક ખાતરનો ઉપયોગ ટાળવા સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ,પ્રયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયા,વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.