
દેશવાસીઓને માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ પર ગર્વ છે – શ્રી જયસિંહ ચૌહાણ
સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, નમો વનનું નિર્માણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર સહિત વિવિધ બહુ આયામી સેવાકીય પ્રવૃત્તિઓ સેવા પખવાડા અંતર્ગત યોજાશે – શ્રી જયસિંહ ચૌહાણ
“સેવા પખવાડા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો સેવાભાવ સાથે વ્યાપક અને સર્વ સ્પર્શી બની રહે તે સુનિશ્ચિત કરવા અપીલ કરતા શ્રી અનિલભાઈ પટેલ
સેવા પરમો ધર્મ ના સિદ્ધાંત સાથે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા હોવાનું જણાવતા શ્રી અનિલભાઈ પટેલ
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલના નેતૃત્વમાં અને પૂર્વ સાંસદ તેમજ સેવા પખવાડાના પ્રદેશ ઈનચાર્જ શ્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ભાજપની યોજના અને ગુજરાત પ્રદેશ ભાજપાના માર્ગદર્શન અનુસાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આગામી સમયમાં યોજાનાર “સેવા પખવાડા” અંતર્ગત કાર્યશાળા યોજાઈ ગઈ હતી.
શ્રી અનિલભાઈ પટેલે કાર્યશાળામાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે દેશને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનાર યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ છે. સેવા પરમો ધર્મ ના સિદ્ધાંતને પરિપૂર્ણ કરી રહેલ માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સમાજના ગરીબ, શોષિત અને વંચિત વર્ગના ઉત્થાન માટે ઘણા ઐતિહાસિક કાર્યો થઈ રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્યો અદ્વિતીય છે.
શ્રી પટેલે કહ્યું કે દર વર્ષે આપણે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી સેવા પખવાડા” તરીકે વિવિધ પ્રકારના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો દ્વારા ઉજવીએ છીએ અને માન. વડાપ્રધાનશ્રીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા આપતા તેઓના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈએ છીએ. તેઓએ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં “સેવા પખવાડા” અંતર્ગત સમાજના દરેક વ્યક્તિ સુધી સેવાભાવ સાથે આ સેવા કાર્યો લઈ જવા આહવાન પણ કર્યું હતું. તેઓએ આ કાર્યક્રમો વ્યાપક અને સર્વ સ્પર્શી બની રહે તે પણ સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી હતી.
શ્રી જયસિંહ ચૌહાણે સેવા પખવાડાની ઉજવણી અંગે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું હતું કે ભારતના ૭૯માં સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા, ભારતને આત્મનિર્ભર બનાવવા, ટેકનોલોજી અને નવા આયામોમાં વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરવા, સમાજના તમામ વર્ગો સુધી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા વોકલ ફોર લોકલ ના મંત્ર સાથે ૨૦૪૭સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહવાન કર્યું છે. દેશવાસીઓને માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ પર ગર્વ છે.
શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે ભાજપા માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીની સૂચના મુજબ તા. ૧૭ સપ્ટેમ્બર, માન. વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી તા. ૦૨ ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી “સેવા પખવાડા દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે. તેમાં સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, નમો વનનું નિર્માણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર સહિત વિવિધ બહુ આયામી સેવાકીય પ્રવૃત્તિઓ સામેલ છે. આ ઉપરાંત તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ આપણા સૌના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળજીની જન્મજયંતની ઉજવણી, ૨ ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં “વોકલ ફોર લોકલ” ની પ્રતિજ્ઞા લેવી અને ખાદી ભંડારોમાંથી મોટા પાયે સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવી અને ખાદીનો પ્રચાર કરવો. ગાંધીજીના સિદ્ધાંતો, સ્વદેશી, ખાદી, આત્મનિર્ભરતા, સરળતા અને સ્વચ્છતાના સંકલ્પોને ઉજાગર કરતા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવી અને જાહેર સ્થળોએ વિશાળ પાયે સ્વચ્છતા અભિયાન થાય તેવું આયોજન કરવું. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી કે જેમણે દેશને “જય જવાન”, “જય કિસાન” સુત્ર આપેલ અને તેના ફળસ્વરૂપે દેશના સમગ્ર કૃષિક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવેલ. તેઓની પણ તા. ૦૨ ઓકટોબરના રોજ જન્મજયંતિ છે. જે જાહેર સ્થળો પર શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમો આયોજિત કરવા.
શ્રી ચૌહાણે અંતમાં કહ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ દેશવાસીઓને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનનો સંકલ્પ લેવા હાકલ કરી છે. આ વિચાર જન જન સુધી પહોંચાડી દેશની ઉન્નતિમાં આપણી સહભાગીતા સુનિશ્ચિત કરીએ. આ કાર્યશાળામાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ, વિવિધ મંડળના પ્રમુખ /મહામંત્રીશ્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખ / મહામંત્રીશ્રીઓ, વિવિધ સેલના ઈનચાર્જશ્રીઓ, વિવિધ મંડળના ઈનચાર્જશ્રીઓ તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા