વી.બી. જી. રામ જી અધિનિયમ ૨૦૨૫ હેઠળ હવે ગ્રામજનોને ૧૦૦ ના બદલે ૧૨૫ દિવસની રોજગારી મળશે – તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

વિકસિત ભારત જી રામ જી અંગે જનજાગૃતિ ફેલાવવા વ્યારા ખાતે મંત્રી નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી

રાકેશ વાળા,

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે બુધવારે વ્યારાના સરકિટ હાઉસ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન – ગ્રામીણ : વી.બી.જી. રામજી અધિનિયમ ૨૦૨૫ ની જોગવાઈઓ અંગે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયેલા આ અધિનિયમ હેઠળ રોજગારીના દિવસો ૧૦૦ થી વધારીને ૧૨૫ કરાયાં છે.

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ઉમેર્યું કે, નિર્ધારિત સમયમાં કામ ન મળતા બેરોજગારી ભત્થાની જોગવાઈને મજબુત બનાવાઈ છે. ઉપરાંત, ૫૦ ટકા કામો ગ્રામ પંચાયતો દ્વારા નક્કી કરાશે, જેથી સ્થાનિક લોકોને રોજગાર મળશે. પરિવારોનું નોંધણીકરણ, રોજગાર ગેરંટી કાર્ડ આપવા, કામ માટે અરજીઓ મંગાવવી અને યોજનાઓ તૈયાર કરવાની તમામ જવાબદારી ગ્રામ પંચાયતોની રહેશે.

તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ જળ સંરક્ષણ, આધિસંરચનાના નિર્માણ, આજીવિકા આધારિત કામો અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત કામો કરવામાં આવશે. આ યોજના હેઠળ તળાવ બનાવવું, ચેકડેમ, સ્ટોપ ડેમ, શાળા, હોસ્પિટલ, આંગણવાડી, રસ્તા, નાળીઓ, શેડ જરૂરી માળખા બનાવવા, ગરીબ પરિવારો અને સ્વ સહાયતા સમૂહોની બહેનોની આવક વધારવા રોજગાર સાથે સંકળાયેલ કામો તેમજ રિટેનિંગ વોલ, પીચિંગ, ડ્રેનેજ જેવી રચનાઓ પણ તેમાં સામેલ રહેશે. જેથી ગામમાં પાણી સુરક્ષિત રહે, મૂળભૂત ઢાંચો મજબૂત બને, રોજગાર અને આવકમાં વધારો થાય અને ગામ કુદરતી આપત્તઓથી સુરક્ષિત રહે.

વધુમાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, જવાબદારી નક્કી કર્યા બાદ કામગીરી અસરકારક થઈ રહી છે કે કેમ તે માટે દરેક કામગીરીનું સોશિયલ ઓડિટ થશે. બાયોમેટ્રિક હાજરી, જીઆઈએસ દ્વારા તપાસ, મોબાઈલ એપ, ડેશબોર્ડ અને સાપ્તાહિક જાહેર માહિતી જેવી સુવિધાઓ હશે.

આ અધિનિયમ વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજના સંકલ્પને દરેક ગામ સુધી પહોંચાડવાનુ મજબુત માધ્યમ છે, આ ઐતિહાસિક અધિનિયમ ગ્રામીણ વિસ્તારમાં અસરકારક રીતે સફળ થશે અને દરેક જરૂરતમંદ સુધી રોજગાર, સન્માન અને વિકાસ સુનિશ્ચિત કરી શકાશે, તેમ પણ મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું.

પત્રકાર પરિષદના અંતે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીશ્રી પટેલે પત્રકારોને ઉત્તર આપ્યા હતા.

આ તકે ધારાસભ્ય સર્વશ્રી કુંવરજી હળપતિ અને શ્રી મોહનભાઇ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી સૂરજભાઈ વસાવા સહિત જિલ્લાના મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *