જાહેર આરોગ્યના હીતમાં તથા ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખી FSSAI દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે : ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરશ્રી ડૉ. એચ.જી.કોશિયા
રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી આઉટલેટ ઉપર વેચાણ માટે રાખવામાં આવેલી નોન પેકેજ્ડ કે લુઝ મીઠાઇ ના કન્ટેનર/ટ્રે ની ઉપર જે તે પ્રોડક્ટની “Best Before Date’’ ફરજીયાતપણે દર્શાવવાની રહેશે તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે. પરંપરાગત રીતે બનતી દુધની મીઠાઇની સલામતી માટે FSSAI દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં અલગ-અલગ પ્રકારની મીઠાઇઓની સેલ્ફ લાઇફ દર્શાવવામાં આવી છે. જે FSSAIની વેબસાઇટની www.fssai.gov.in પર ઉપલબ્ધ છે. FSSAIના આદેશ અનુસાર ફુડ બીઝનેસ ઓપરેટર્સએ ખાદ્ય ચીજ વસ્તુના પ્રકાર તથા સ્થાનીક પરિસ્થિતિને આધારે ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ નક્કી કરીને ફરજિયાત દર્શાવવાની રહેશે. આઉટલેટ ઉપર વેચાણ માટે રાખેલા નોન પેકેજ્ડ/લૂઝ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ફુડ બિઝનેસ ઓપરેટર ‘‘ડેટ ઓફ મેન્યુફેક્ચરીંગ’’ પણ દર્શાવી શકશે જે મરજિયાત અને અબાધિત છે. પરંતુ ‘‘બેસ્ટ બીફોર ડેટ’’ ફરજિયાત લખવાની રહેશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યુ છે.
