ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોનું વેક્સિનેશન શરૂ થવાની સંભાવનાઓ છે. AIIMSના પ્રમુખ ડૉ રણદીપ ગુલેરિયાએ આજે સવારે આ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે. બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનનાં પરીક્ષણો ચાલી રહ્યાં છે અને એનાં પરિણામો સપ્ટેમ્બર સુધી આવે તેવી આશા છે. આ પહેલાં FDAએ ફાઇઝર વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આશા છે કે સપ્ટેમ્બર સુધી આપણે બાળકોનું રસીકરણ શરૂ કરી શકીએ.
ઝાયડસ કેડિલાએ 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે પોતાની વેક્સિનનું પરીક્ષણ પૂરું કર્યું છે. અમદાવાદમાં આવેલી દવાની કંપનીએ ZyCov-D માટે ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી હતી. જોકે સૂત્રો અનુસાર, દેશના ઔષધી નિયંત્રક જનરલ (DCJI) દ્વારા તેના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે કેટલાક દિવસ હજી લાગી શકે છે. આ કોરોના વાઇરસ સામે એક પ્લાસ્મિડ ડી.એન.એ વેક્સિન છે અને એના ત્રણ ડોઝ લગાવવામાં આવશે.
ભારતે અત્યારસુધી 42 કરોડથી વધારે ડોઝ આપી દીધા છે અને સરકારનું લક્ષ્ય છે કે વર્ષના અંત સુધી દરેક યુવા વર્ગને વેક્સિનેશન થઇ જાય. દેશમાં હાલ ત્રીજી લહેરનો ભય છે જ્યારે આ લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થાય તેવી પણ સંભાવનાઓ છે અને એ માટે બાળકોનું વેક્સિનેશન કરાવવું સરકાર માટે ફરજિયાત બન્યું છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

