જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગીર સોમનાથ, જી.આઈ.ડી.સી. અને ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વેરાવળના ઔદ્યોગિક વિસ્તારમાં આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્રની નેમ ને અનુસરીને ઔદ્યોગિક વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવામાં આવ્યો હતો. સાથે જી.આઈ.ડી.સી.ના પરિસરોને પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી પી.બી. પટેલ, મદદનીશ ઈજનેર શ્રી કે. પી. ગોહીલ, ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ ઓસોસિએશનના પ્રમુખ શ્રી ઈસ્માઈલભાઈ મોઠીયા, સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી કેતનભાઈ સુયાણી, એસોસિએશનના સદસ્ય સર્વશ્રી સાજીદભાઈ પટ્ટણી, યુસુફભાઈ કાલવાણી સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કર્મચારીગણ અને સફાઈ કામદારો જોડાયા હતા.







