ગીરસોમનાથ તા-૧૮, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશ અને રાજ્યભરમાં અનેક સ્થળોએ સફાઈ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૧૦,૦૦૦ કિલો કચરો દૂર કરવાનું વહીવટી તંત્ર દ્વારા લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેના હેઠળ કાજલી એ.પી.એમ.સી., જિલ્લાના તમામ બંદરોના ડૉકયાર્ડ, અને માછીમારીને લગતા ફિશરીઝ એરિયાના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમા મોટી માત્રામાં ઘન અને વિશેષ રૂપે પ્લાસ્ટિક કચરો એકઠો કરીને તમામ પરિસરો-વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એન. ડી. ગોહિલ અને નાયબ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી વી.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ડૉકયાર્ડ એસોસિએશન, કાજલી એ.પી.એમ.સી. ના વેપારી એસોસિએશન અને સ્વૈચ્છિક સંગઠનોએ સફાઈ અભિયાનમાં ભાગ લીઘો હતો.







