વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ

કુદરતે મનુષ્યના જીવનના અસ્તિત્વ માટે તમામ જરૂરી સુવિધા આપી છે પરંતુ પ્રકૃતિનું રક્ષણમાં બેદરકારી દાખવાતા ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યા આવીને ઉભી છે. ત્યારે પ્રકૃતિનું સરંક્ષણ કરવું અત્યંત જરૂરી થઈ પડ્યું છે. આજે 28 જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ છે ત્યારે સ્વસ્થ વાતાવરણ જ સ્વસ્થ માનવનો આધાર બની શકે છે એ હકીકત છે પરંતુ હાલના સમયમાં વૃક્ષોના નિકંદન, પાણીનો વ્યય અને પાણી સંગ્રહ માટે ઉદાસીનતાના કારણે જમીનમાં પાણીના સ્તર નીચે ઉતરી રહ્યા છે. જેના કારણે પ્રકૃતિ પર માઠી અસર પહોંચી રહી છે. પરંતુ સરકારના વન વિભાગ અને સિંચાઈ ખાતા દ્વારા પાણીના સંગ્રહ અને ભૂર્ગભ જળસ્તર જળવાઈ રહે તે માટે ખરેખર ઉમદા કામગીરી થઈ રહી છે. જેના કારણે એમ કહી શકાય કે, લીલાછમ વનોથી આચ્છાદિત વલસાડ જિલ્લામાં કુદરતની મહેર છે.

વરસાદી પાણી પણ સમુદ્ર-નદી-નાળામાં વહી જતુ હોય છે. જેથી ભૂર્ગભ જળના સ્તર ઉંચા લાવવા માટે અને જંગલોની જાળવણી થઈ શકે સાથે વન્ય જીવોને પણ પાણી મળી રહે તો પ્રકૃતિનું સરંક્ષણ થઈ શકે છે તે માટે વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઈ ખાતા દ્વારા જિલ્લામાં માર્ચ 2021 સુધીમાં રૂ. 12738 લાખના ખર્ચે 1888 ચેકડેમ અને ચેકડેમ કોઝવે તેમજ 757 નાના ચેક ડેમ રૂ. 6987 લાખના ખર્ચે બનાવાયા છે જ્યારે વલસાડના દક્ષિણ અને ઉત્તર વન વિભાગ દ્વારા પાણીના સંગ્રહ અને જળ સ્તરમાં વધારો કરવા માટે રૂ. 267.86 લાખના ખર્ચે 45 ચેકડેમ, રૂ. 143.28 લાખના ખર્ચે 62 ચેકવોલ અને રૂ. 108.03 લાખના ખર્ચે 77 વન તલાવડી બનાવવામાં આવી છે. જેના ફળસ્વરૂપે પ્રકૃતિના સરંક્ષણ માટે વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા તાલુકો લીલીછમ હરિયાળીથી છવાયેલો રહે છે. સાથે પાણીનો સંગ્રહ થતા વન્ય જીવોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, પૃથ્વી દરેક માણસની જરૂરીયાતો સંતોષવા માટે પૂરતી છે પરંતુ દરેક માણસના લોભને નહી, હાલના સંજોગમાં આ વિધાન શતપ્રતિશત સાચુ ઠરી રહ્યું છે. વૃક્ષોનું નિકંદન અને વધતા જતા પ્રદૂષણના કારણે પાણી અને હવાનો બગાડ સહિતના અનેક કારણોથી પ્રકૃતિનું અસ્તિત્વ જોખમાયું છે. જેના કારણે હાલની અને ભાવિ પેઢીને સુરક્ષિત રાખવા માટે સ્વસ્થ વાતાવરણ જરૂરી છે. એટલે જ દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા જળ સંચય અભિયાન, સ્વચ્છ ભારત મિશન સહિતના કાર્યક્રમો અમલમાં મુકવામાં આવે છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો પ્રકૃતિના સરંક્ષણ માટે ભૂગર્ભ પાણીનું જળ સ્તર જળવાઈ રહે તે માટે વન વિભાગ અને સિંચાઈ ખાતા દ્વારા ચેકડેમ, ચેકવોલ, વન તલાવડી અને કન્ટુર ટ્રેન્ચ બનાવવામાં આવ્યા છે. જેના કારણે ધરમપુર અને કપરાડા તાલુકાના જંગલ વિસ્તારોમાં વહી જતા પાણીને અટકાવવામાં સફળતા મળી છે જેના કારણે ભૂર્ગભ જળ સ્તર પણ ઉપર આવ્યા છે. પહેલા જંગલો વધુ હતા પરંતુ હાલમાં વૃક્ષોનું નિકંદન થતા જંગલો બોડા થઈ રહ્યા છે જેના કારણે પાણી વહી જાય છે.

        વલસાડ દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક આર.એસ.પુવારે જણાવ્યું કે, જંગલોનો વધારો થાય તે માટે ડુંગર પરથી જે પાણી આવે છે તેને રોકવા માટે કોતર ઉપર નાના નાના કાચા અને પાકા પાળા બનાવવામાં આવે છે. જેથી પાણી જમીનમાં ઉતરે અને જળ સ્તર ઉપર આવે અને વૃક્ષોનું સિંચન થઈ શકે. ભૂમિ ભેજ સરંક્ષણ હેઠળ ચેકડેમ, ચેકવોલ અને વન તલાવડી બનાવવામાં આવે છે. જેના કારણે પાણીનું સ્તર ભૂર્ગભમાં જળવાઈ રહે છે અને નદી-નાળા-સમુદ્રમાં વહી જતા પાણીને બચાવી શકાય છે. સ્થાનિકોની માંગના આધારે ચેકડેમ બનાવવામાં આવે છે જેના થકી સ્થાનિકોને ખેતીવાડી માટે પણ પાણી મળી રહે અને પાણીના સંગ્રહના કારણે કૂવા તેમજ બોરના સ્તર ઉપર આવે છે. ગ્રેબિયન સ્ટ્રકચરથી પથ્થરોના પાળા ગોઠવીને વહી જતા પાણીને અટકાવીએ છે. કન્ટુર ટ્રેન્ચ એટલે કે, ચોમાસામાં વાવેતર પહેલા જમીન પર ચોક્કસ આકારમાં ખાડા ખોદી આજુબાજુમાં વૃક્ષો રોપવામાં આવે છે. જેથી જંગલોનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રકૃતિના સરંક્ષણ માટે વલસાડ જિલ્લામાં સફળતા મળી છે જેના કારણે જંગલોનું પ્રમાણ વધ્યું છે સાથે જળ સ્તર પર ઉપર આવ્યા છે.

વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.એ.વહીયાએ જણાવ્યું કે, જિલ્લામાં નાની સિંચાઈ અંતર્ગત કુલ 1888 ચેકડેમ/ચેકડેમ કમ કોઝવે, 6 અનુશ્રવણ તળાવ અને 15 સંગ્રહ તળાવ બનાવ્યા છે. જેની કુલ સંગ્રહ શક્તિ 874.44 એમસીએફટી થાય છે. જિલ્લામાં ખેતીલાયક જમીન પૈકી 63663 હેકટર વિસ્તારમાં નહેર યોજનાથી સિંચાઈનો લાભ મળે છે. પાણી સંગ્રહના કારણે જળ સ્તરમાં પણ વધારો થયો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM