
પ્લાસ્ટીકના ઉપયોગ થકી સમાજમાં ગંદકી ફેલાવવા માટે ખુદ આપણે જ જવાબદાર છીએઃ ડો.ભૈરવી જોશી વલસાડ બ્યુરો વલસાડની શાહ એન એચ કૉમેર્સ કોલેજમાં 25 જુલાઈના રોજ ત્રયમ ફાઉન્ડેશન અને ભાગડાવડા પંચાયતના સહયોગથી ક્લિન એન્ડ ગ્રીન કેમ્પસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના આચાર્ય ડૉ. ગીરીશ એન. રાણાએ પર્યાવરણ બચાવો તથા લોકોમાં ભાવિ જીવનમાં પર્યાવરણ પ્રત્યેની સજાગતા વધે તે અંતર્ગત રજૂઆત કરી હતી. ત્યારબાદ ત્રયમ ફાઉન્ડેશનના ડૉ. ભૈરવી જોશીએ ત્રયમ દ્વારા થતી કામગીરીનો ચિતાર આપીને પ્લાસ્ટિકના ઉપયોગ અંગે નકારાત્મકતા સમજાવીને તે સાથે જ સમાજમાં ગંદકી ફેલાવવા માટે ખુદ આપણે જ જવાબદાર છે તેવી વાત રજૂ કરીને તેમના દ્વારા કોલેજમાં શરૂ થનારા વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. આ ઉપરાંત સુરતથી આ સંસ્થા સાથે જોડાયેલા આકાશ બંસલે તેમની સંસ્થા દ્વારા સુરતમાં થનારી વિવિધ પ્રવૃતિઓ અંગેનો ચિતાર ટૂંકમાં રજુ કર્યો હતો. જેમાં તેમની સંસ્થા દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, જળાશયોની સફાઈ, ડુમસ બીચ ક્લિન,બાયો એન્ઝાઈમ અને ઈકોબ્રિક્સ વર્કશોપ, વેસ્ટ બર્નિંગ અલથાણ, ભટાર ડમ્પ યાર્ડ, વાયુ પ્રદૂષણ સામે રેલી, સેવ ધ પ્લાનેટ જેવા વિષયો ઉપર ઊંડાણપૂર્વકની સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગડાવડા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ પટેલે સ્વસ્થ ગામ, સ્વચ્છ ગામની ભૂમિકા સમજાવી હતી. એમની સાથે આ ફાઉન્ડેશનના વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ લીડર ખુશ્બ વી. વૈદ્યે હાજરી આપી હતી.





આ સમગ્ર કાર્યક્રમમાં ત્રયમ સંસ્થા તરફથી તમામ મેહમાનોને પર્યાવરણ જાગૃતિ સંદર્ભમાં તુલસીના છોડ આપી સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા. મહેમાનોનો પરિચય પ્રો.એમ. જી. પટેલે આપ્યો હતો અને આભાર વિધિ પ્રો. આર. જી. પવારે કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસના સ્વયંસેવિકા ફિઝા કુરેશી અને વિશાલ સોનીએ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ સંસ્થાના કાર્યકર્તાઓ તથા કોલેજના આચાર્યશ્રી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરો, એન. એસ. એસ.ના સ્વયંસેવકો અને ગ્રીન ક્લબના મેમ્બર્સ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં જુદા જુદા આયુર્વેદિક રોપાઓનું વાવેતર કોલેજ કેમ્પસમાં કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ડૉ. મીનાક્ષી જરીવાલા તથા પ્રો. ચિરાગ રાણા તથા એન.સી.સી. ના લે. મુકેશભાઈ પટેલ દ્વારા આયોજન કરાયું હતું.

