શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોથી જાગીર સમાન પત્રકારોને મંદિરમાં કવરેજ કરવા પ્રતિબંધ ફરમાવ્યો

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોથી જાગીર સમાન પત્રકારોને મંદિરમાં કવરેજ કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના વિરોધમાં સોમનાથના પત્રકારો પરીસરમાં ધરણા પ્રદર્શન ઉપર બેસી ગયાના મામલે આજે બીજા દિવસે મંદિરની સલાહકાર સમિતિના સભ્યએ મધ્યસ્થી કરી હતી. આ મામલે પત્રકારો દ્વારા માંગણીઓ સંદર્ભે લેખીત રજુઆત સોમનાથ ટ્રસ્ટને આપવી જેથી આ બાબતે નિતી વિષયક નિર્ણય લઈ શકાય. જે અંગે પત્રકારોએ હકારાત્મક અભિગમ સાથે ટ્રસ્ટને તમામની હાજરીમાં લેખિત રજુઆત પાઠવી ધરણા પુરા કર્યા હતા. આ મામલે આગામી દિવસોમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યુ હતુ. સોમનાથ મંદિરમાં પત્રકારોને કવરેજ કરવા ન જવા દેવા માટે ફરમાવવામાં આવેલ પ્રતિબંધના વિરોધમાં આજે બીજા દિવસે સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર ધરણા પર બેસેલ પત્રકારોના સમર્થનમાં પત્રકાર એકતા સંગઠનના ઉપાધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા અને મુકેશ સખીયા ટીમ સાથે આવી ધરણામાં જોડાયા હતા. તો બપોરના સમયે સોમનાથ મંદિરની સલાહકાર સમિતિના સભ્ય ભાવેશભાઈ વેકરીયાએ પત્રકારોની ધરણા સ્થળે મુલાકાત લઈ માંગણીઓ જાણી હતી. ત્યારબાદ મામલનો ઉકેલ લાવવા ટ્રસ્ટ સાથે વાતચીત કરી હતી. જેમાં પત્રકારો પોતાની માંગણીઓ ટ્રસ્ટને લેખિતમાં આપે એટલે તેના પર આગામી દિવસોમાં સકારાત્મક નિર્ણય લેવા જણાવ્યું હતુ. આ વાત ભાવેશભાઈએ પત્રકારોને સમજાવતા તમામએ સહમતી આપી હતી. બાદમાં ભાવેશભાઈ અને પોલીસ અધિકારી કે.જે. ચૌહાણ, એસ.એલ.વસાવાની હાજરીમાં પત્રકારોએ માંગણી સંદર્ભે લેખિત રજુઆત ટ્રસ્ટના અધિકારી વિજયસિંહ ચાવડાને આપી હતી. આમ મામલો થાળે પડતા પત્રકારોએ ધરણા પુરા કર્યાની જાહેરાત કરી ઉઠી ગયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *