
ઘરે બનાવેલ સમતોલ આહાર થકી તંદુરસ્ત રહેવાની શીખ અપાઈ

મુન્દ્રા, તા.૧૮: તાજેતરમાં ઝરપરા પેટા આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાસપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હેલ્થ કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલાએ પ્રસંગ પરિચય આપતા કિશોરાવસ્થાથી જ સમતોલ આહાર લેવામાં આવે તો લોહીની ઉણપથી થતા રોગો નિવારી શકાય છે એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
હેલ્થ સુપરવાઈઝર પ્રકાશ ઠકકરે કિશોરીઓને બહારનું જંક ફૂડ ખાવાને બદલે લીલા શાકભાજી, કઠોળ, દૂધ, દહીં યુક્ત ઘરે બનાવેલ સમતોલ આહાર થકી કુટુંબને તંદુરસ્ત રાખવાની શીખ આપી હતી.
ઝરપરાના સામુદાયિક આરોગ્ય અધિકારી સપનાબેન પટેલે કિશોરીઓની આરોગ્ય તપાસ કરી હતી તથા કામિનીબેન પરમારે હિમોગ્લોબીન તપાસ કરી હતી અને સ્થાનિક આશા બહેનોએ કિશોરીઓના વજન ઉંચાઈ કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડીકલ ઓફિસર ડો. યશ ઘેટિયા, ડો. રુચિતાબેન ધુઆ, દેવેન્દ્ર ચાવડા, જીગ્નેશ પંચાલ, તથા રવીન્દ્રસિંહ જાડેજા સહયોગી રહ્યા હતા.

