


પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના જન ઔષધિ દિવસ- ૨૦૨૩ ઉજવણી કાર્યક્રમ
બ્રાન્ડેડ દવાઓની સરખામણીએ જેનરિક દવાઓ ૫૦ થી ૯૦ ટકા સસ્તીઃ અલકાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ
“સસ્તી ભી અચ્છી ભી” થીમ પર જનઔષધિ દિવસની ઉજવણી
રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત તા. ૦૭ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ જન ઔષધિ દિવસ- ૨૦૨૩ની ઉજવણી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. આ અવસરે વલસાડ સાંસદ ર્ડા. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત આરોગ્યના ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન પટેલ હાજર રહ્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્યને માનવજીવનના વિવિધ સુખોમાં સર્વોચ્ચ સ્થાન અપાયેલું છે તેથી આરોગ્ય સેવાઓ મેળવવી એ માનવ અધિકારો પૈકીની એક બાબત ગણાય છે. સારા આરોગ્ય માટે જીવનરક્ષક દવાઓ અનિવાર્ય બની ગયેલી છે. ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કેન્સર, ક્ષય જેવા અન્ય ઘણા રોગોમાં જીવન ટકાવી રાખવા માટે પણ દવાઓ ખોરાક જેટલી જ અનિવાર્ય બનેલી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્તવમાં દેશનો આજે સમગ્રતયા વિકાસ થઇ રહયો છે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ દેશના ગરીબ અને મધ્યમવર્ગના માનવીને ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કેન્સર, ક્ષય જેવી ગંભીર પ્રકારની બીમારીનો ખર્ચ ઓછો થાય અને તેમને બજારમાં મળતી જ દવાઓના ઘટકો અને ગુણવત્તા જેવી જેનેરીક દવાઓ સહેલાઇથી પ્રાપ્ય થાય તે હેતુસર ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૫ થી દેશના ગરીબ અને મધ્યમવર્ગની જનતાને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુકત દવાઓની ઉપલબ્ધતાને ઉદેશ સાથે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના( પીએમબીજેવાય) યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દવાની કિંમત ટોચની ત્રણ બ્રાન્ડેડ દવાઓના સરેરાશ ભાવના મહતમ ૫૦ ટકાના ભાવે મળે એ સિધ્ધાંત પર જન ઔષધિ દવાઓની કિંમત ઓછામાં ઓછી ૫૦ ટકા અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની બજાર કિંમતના ૮૦ થી ૯૦ ટકા સુધી સસ્તી હોય છે. આજે આ યોજનાથી દેશના લોકોને સસ્તી કિંમતે ગુણવત્તાયુકત દવાઓ ઉપલબ્ધ થઇ રહી છે જેને લીધે દેશના નિમ્ન અને મધ્યમ વર્ગના લોકોના ખર્ચમાં ભારે ઘટાડો થયો છે.
વલસાડ જિલ્લામાં ૯ જનઔષધિ સ્ટોર કાર્યરત છે જેમાં ઉમરગામમાં ૬, વલસાડ, પારડી અને વાપીમાં ૧ સ્ટોરનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જન ઔષધિ કેન્દ્રના સ્ટોર સંચાલકોનું અને લાભાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન અને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેનેરીક દવાઓ બાબતે ઉમરગામના જેનરીક સ્ટોર સંચાલક લક્ષ્મણભાઇએ અને લાભાર્થી અબ્દુલભાઇએ તેમના વકતવ્યો આપ્યા હતા.
આ પ્રસંગે વલસાડના સાંસદ ર્ડા કે. સી. પટેલે જણાવ્યું હતું કે, આ યોજનાથી દેશના ગરીબ વર્ગના ઘરોમાં ગંભીર બીમારીઓ પાછળ થતા ખર્ચમાં ઘટાડો થયો છે જેનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્તવમાં દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હ્દયરોગ, કેન્સર, કીડનીની બીમારી જેવા ગંભીર રોગોમાં ખર્ચ ઓછો થાય અને તેઓ ખાનગી હોસ્પિટલોમાં પણ તેઓ સારી સારવાર કરાવી શકે તે હેતુસર પ્રધાનમંત્રી આયુષ્ટમાન કાર્ડની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં આયુષ્યમાન કાર્ડ ઘારકને વર્ષે રૂા. ૫ લાખની સારવાર મળી રહે છે.
આ કાર્યક્રમમાં આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. વિપુલ ગામીતે કરી હતી. આ કાર્યક્રમમાં આર. સી. એચ. ઓ. ર્ડો. એ. કે. સિંગ, સીવીલ સર્જન ર્ડો. ભાવેશ ગોયાણી, સીવીલ હોસ્પિટલના આર. એમ. ઓ. ર્ડો. જે. કે. પટેલ, એપેડેમિક મેડીકલ ઓફિસર ર્ડો. મનોજ પટેલ તથા આરોગ્ય વિભાગના સંબિધત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
હ્દયરોગની બ્રાન્ડેડ ૧૪ ગોળીઓ રૂા. ૨૭ ના દરે જયારે જેનેરીક તેટલી જ ગોળીઓ માત્ર રૂા. ૬ ના દરે મળે છે
આ અવસરે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સહાયક કમિશ્નરશ્રી ર્ડા અરવિંદ ઝાલાએ જેનેરીક દવાઓની ગુણવત્તા અને ઘટકો બાબતે ગહન માર્ગદર્શન આપ્યું હતું. બ્રાન્ડેડ દવાઓ તેની ઉત્પાદન કંપનીમાંથી બહાર નીકળે પછી આ દવાના માર્કેટિંગ, હેન્ડલિંગ અને એકસ્ટ્રા ચાર્જ મળીને દવાની કિંમત વધી જાય છે જયારે જેનેરીક દવાઓ સીધી જ ઉત્પાદન કર્યા બાદ જેનેરીક સેન્ટરો અને જેનેરીક સ્ટોર પર આવતા આ દવાઓ માટે માકેટિંગ, હેન્ડલિંગ અને એકસ્ટ્રા ચાર્જ આપવાનો રહેતો નથી જેથી આ દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીએ સસ્તી પડે છે. જેનું તેમણે હ્દયરોગની બ્રાન્ડેડ ૧૪ ગોળીઓ રૂા. ૨૭ ના દરે જયારે જેનેરીક તેટલી જ ગોળીઓ માત્ર રૂા. ૬ ના દરે મળે છે એમ ઉદાહરણ દ્વારા જણાવી જેનેરીક દવાઓ સસ્તી પડે છે તેમ જણાવ્યું હતું.
૧ લી માર્ચ થી ૭ મી માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવણી કરાઇ
વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કે. પી. પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાનશ્રીએ આજે ૭ મી માર્ચને જન ઔષધિ દિવસ તરીકે વર્ષ ૨૦૧૮ થી શરૂઆત કરી હતી જે અંતર્ગત આજે પાંચમો જન ઔષધિ દિનની ઉજવણી થઇ રહી છે. જાહેર જનતામાં જેનેરીક દવાઓ પ્રત્યે જાગૃતતા આવે તે માટે આવે તે માટે ૧ લી માર્ચથી ૭ મી માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહ ઉજવાઇ રહયુ છે. જે અંતર્ગત જન ઔષધિ જન ચેતના અભિયાન, પ્રતિજ્ઞા યાત્રા અને હેલ્થ કેમ્પ યોજાઇ રહયા છે.