
કાયદો અને વ્યવસ્થાની જવાબદારી વહન કરતા અને નાગરિકોની સલામતી માટે દિનરાત કાર્યરત રહેતા સુરત પોલીસના અધિકારી-કર્મચારીઓનું સમસ્ત જૈન સમાજ દ્વારા નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્ય મથક) શ્રીમતી સરોજકુમારીની ઉપસ્થિતિમાં શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન, વેસુ ખાતે બહુમાન કરાયું હતું. સાથોસાથ પોલીસ પરિવાર માટે પ્રસાદનું વિતરણ કરાયું હતું.

આદિનાથ પ્રભુ જન્મ કલ્યાણક પ્રસંગ નિમિત્તે શ્રી વેસુ શ્વેતાંબર મૂર્તિપૂજક તપા. જૈન સંઘ તથા શ્રી વિશ્વજૈન પરિષદ-મુંબઈ-સુરત દ્વારા શ્રી અશોકભાઈ મહેતા અને શ્રી અશોક કાનુંગોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ પ્રસંગે પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી સાદરચંદ્રસાગર સૂરિશ્વરજી મા.સા.એ ધર્મ વ્યવસ્થાને સુચારૂ રૂપથી ચલાવવા માટે રાજ વ્યવસ્થાની આવશ્યક છે. જ્યારે રાજ્ય વ્યવસ્થા સુદ્દઢ હોય ત્યારે ધર્મ વ્યવસ્થા યોગ્ય રૂપથી ચાલે છે. રાજ્ય વ્યવસ્થાના અંગરૂપ સુરક્ષા વ્યવસ્થાનું સુયોગ્ય વહન કરતા પોલીસ તંત્રની ફરજ અને સેવાને મા.સા.એ બિરદાવી હતી. આ ઉપરાંત તેમણે નિતીમત્તા અને જનહિતના માર્ગ પર અટલ રહેવા અંગેનું માર્ગદર્શન આપી સ્વતંત્રતા સંગ્રામમાં જૈન ધર્મના યોગદાનની વિગતો આપી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ પૂર્વ ડે.મેયર અને જૈન અગ્રણી નિરવ શાહ, અગ્રણી ચંદ્રકાન્ત સંઘવી, શહેરના વિવિધ પો.સ્ટે./શાખામાં ફરજ બજાવતા ૨૦૦ જેટલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.