
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, મોડાસાના વરદ હસ્તે પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
ગુજરાતના દરેક જિલ્લા મથકો પર સરકાર દ્વારા પુસ્તકાલયો ખોલવાનું નક્કી કરાયું છે. તે મુજબ આજે મોડાસા ખાતે જિલ્લા કક્ષાના પુસ્તકાલયનો શુભારંભ કરાયો. આજરોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાખવામાં આવેલ અરવલ્લી જિલ્લા કક્ષાના પુસ્તકાલયનું ઉદઘાટન માનનીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, મોડાસાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
મોડાસા ખાતે છેલ્લા કેટલાક સમયથી ગ્રંથાલયની માગ હતી. અરવલ્લી જિલ્લાની રચના પછી સુવિધા સભર પુસ્તકાલય બને એ માટે તંત્રના પ્રયત્નો હતા. ત્યારે આજે જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા પુસ્તકાલયનો શુભારંભ અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અર્ચના ચૌધરીના હસ્તે કરાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય નિયામક પંકજ ગૌસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પુસ્તકાલયમાં જિલ્લાના વિદ્યાર્થીઓને વાંચન માટે અલાયદું આયોજન સાથે અલગ અલગ પ્રકારના 3500 પુસ્તકો લાયબ્રેરીમાં રાખ્યા છે. આ પુસ્તકાલયમાં વધુમાં વધુ લોકો વાંચનનો લાભ લઇ શકે તે માટે રવિવારના દિવસે પણ લાયબ્રેરી ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે, એકવીસમી સદી જ્ઞાનની સદી છે અને ભારતમાં તો આ જ્ઞાનની પરંપરા સદીઓ પુરાણી છે. તેમજ પુસ્તકાલયમાં ઉપસ્થિત વિધાર્થીઓને સ્વર્ણિમ ભાવિના સપના સજાવી, સપના સાકાર કરવા માટે પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે સારા સારા મોટિવેશનલ પુરસ્તકો વાંચવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અર્ચના એન. ચૌધરી, ગજરાત પુસ્તકાલય નિયામક પંકજ ગૌસ્વામી તેમજ અન્ય મહાનુભાવો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.