શૈશવ રાવ
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ રાજપીપલા ખાતે યોજાયો

જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ અને અરજદારોની રૂબરૂ હાજરીમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૩ અરજીઓનો દ્વિપક્ષીય સકારાત્મક સંવાદ થકી હકારાત્મક નિકાલ

મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન-ઓફલાઈ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં “સ્વાગત કાર્યક્રમ”ની ઉજવણી અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં તા.૨૭મી એપ્રિલ, ગુરૂવારે સવારે ૧૧=૦૦ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ અધિકારીઓ-અજદારોની હાજરીમાં યોજાયો હતો. જેમાં જિલ્લાના કુલ ૧૩ અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, કરજણ જળાશય યોજનાના અસરગ્રસ્તોના વળતરનો મુદ્દો, વડિલો પાર્જિત જમીનમાં થયેલા લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો, રેશનકાર્ડ, કે.જે.પી.દુરસ્તી પત્રક, ગ્રામસભાના પ્રશ્નો, ડીશ કનેક્શન અને કેબલ લાઈનના લાઈસન્સના પ્રશ્નો વગેરે રજૂ થયા હતા. આ તમામ અરજદારોને રૂબરૂ સાંભળી સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ સંતોષકારક લેખિત જવાબ આપી પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદારોએ પણ પોતાના પ્રશ્નો વહીવટી તંત્રએ સાંભળી રૂબરૂ મુલાકાતનો અવસર આપી તેનો યોગ્ય નિયમાનુસાર નિકાલ અને માર્ગદર્શન પુરૂં પાડતા અરજદારો દ્વારા સંતોષની લાગણી વ્યક્ત કરી સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનો હેતુ માત્ર નાગરિકોની રજૂઆતો ધ્યાને લેવાનો જ નહિં પરંતુ તેથી પણ આગળ વધીને વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે દ્વિપક્ષીય સુમેળભર્યો સંવાદ સાધીને લોકોની અપેક્ષાઓ પૂરી કરી પરિણામલક્ષી નિયમ મુજબ કામગીરી કરવાનો છે. આ પ્રશ્નોનું સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવામાં આવતું હોય છે. પરંતુ કેટલાંક કિસ્સામાં નીતિગત નિર્ણયો અને એક કરતાં વધુ વિભાગોની સામેલગીરીને કારણે તેનું સંકલન ન થઈ શકવાને કારણે ક્યારેક સ્થાનિક કક્ષાએ નિર્ણય લઈ શકાતો નથી. આવા પ્રકારના પ્રશ્નોને જિલ્લા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂ કરવામાં આવે છે અને તેનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમમાં અગાઉ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને અરજદારોની હાજરીમાં સ્વાગત કાર્યક્રમો યોજાયો હતો. જેમાં ગ્રામ્ય કક્ષાએ ૩૫૩ અને તાલુકા કક્ષાએ ૧૮૨ જેટલા નાગરિકોના પ્રશ્નોનું સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં દ્વિપક્ષીય સંવાદ થકી સુખદ નિવારણ કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી પી.આ.પટેલ અને સુશ્રી વાણી દૂધાત, જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ અને અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.