ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે જિલ્લાના ૧૫૨ સખી મંડળોને ૨૭૦ લાખથી વધુની વિવિધ લોન/સહાય અર્પણ

ઘનશ્યામ બી સેંઘાણી

“બાળકોને શિક્ષિત બનાવવામાં મહિલાઓની ભૂમિકા મહત્વની; આપણા યુવાનોને IAS અને IPS બનાવવા માટે મહિલાઓ કમર કસે”:ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

કેશ ક્રેડીટ કેમ્પ અન્વયે ૨૨ સખી મંડળોને ૬.૬૦ લાખ રિવોલ્વીંગ ફંડ, ૧૭ સખી મંડળોને ૧૯.૮૦ લાખનું સી.આઈ.એફ.ફંડ અને ૧૧૩ સખી મંડળોને ૨૫૧ લાખની સી.સી.લોન અર્પણ કરાઈ


મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મોરબી જિલ્લાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “સખી મંડળોની તમામ બહેનો નાણાકીય રીતે સધ્ધર બને તે માટે સખી મંડળોના પ્રમુખોએ પ્રયાસો કરવા જોઇએ. સખી મંડળની બહેનોએ નાના ગૃહ ઉદ્યોગ સ્થાપી આર્થિક પગભર બનવું જોઈએ. મહિલાઓને કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવું એ અમારી જવાબદારી છે. મોરબી જિલ્લાને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃત બની સહિયારા પ્રયાસો કરે તે ખૂબ જરૂરી છે”.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “બાળકોને શિક્ષિત બનાવવામાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. ત્યારે ગુજરાતમાંથી વધુમાં વધુ યુવાનો IAS અને IPS બને તે માટે બાળકોને એ રીતે શિક્ષિત બનાવવા માટે મહિલાઓએ કમર કસવી જોઈએ”.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાએ મહિલાઓને સખી મંડળ હેઠળ મળતી વિવિધ નાણાકીય સહાયની માહિતી આપીને જણાવ્યું હતું કે, “જિલ્લાની મહિલાઓને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળે અને મોરબી જિલ્લો ઉચ્ચ કક્ષાએ પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે”.
જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, “સરકાર મહિલાઓની સતત ચિંતા કરે છે અને મહિલાલક્ષી અનેક યોજનાઓ બનાવી છે. ત્યારે મહિલાઓ આ યોજનાઓનો લાભ લે અને અન્ય મહિલાઓને જાગૃત કરી આ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન આપે તે અગત્યનું છે”.
જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, “સખી મંડળો મહિલાઓને પગભર થવા માટે ખૂબ મહત્વના છે ત્યારે સરકાર પણ મહિલાઓને ૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ આપી તેમને સક્ષમ બનવા માટે ટેકો આપે છે. મહિલાઓ આગળ આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે મહિલાઓ પણ સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે”.
મોરબી જિલ્લા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ યોજાયેલ કેશ ક્રેડીટ કેમ્પ અન્વયે ૨૨ સખી મંડળની બહેનો ૬.૬૦ લાખ રિવોલ્વીંગ ફંડ, ૧૭ સખી મંડળની બહેનોને ૧૯.૮૦ લાખનું સી.આઈ.એફ. ફંડ અને ૧૧૩ સખી મંડળની બહેનોને ૨૫૧ લાખની સી.સી.લોનની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવીએ કર્યું હતું. કાર્યક્ર્મની આભારવિધિ અને સંચાલન દિનેશભાઈ ભેંસદડિયાએ કર્યુ હતું.
આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારેઘી, અગ્રણીશ્રી રમાબેન ગડારા, મંજુલાબેન ચૌહાણ તથા સખી મંડળોની બહેનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *