ગ્લોબલ વોર્મિંગમાં દુનિયાનું દિશાદર્શન કરતાં ભારતના વડાપ્રધાનશ્રીએ ઉજ્જવલા યોજના અને સ્વચ્છતા અભિયાન જેવા પાયાના અભિયાનો યોજયા – સાંસદશ્રી ડો. કે.સી.પટેલ

પ્રાકૃતિક ડાંગ અને મિલેટ ઈયર જેવા મુદ્દે ખુબ જ વિચારશીલ કાર્યક્રમો પ્રજાજનોની સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી છે– પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત.

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડેન્માર્ક (કોપનહેગન) માં મળેલી ગ્લોબલ વોર્મિંગની સમિટમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂચવેલા પગલાઓ ઉપર આખી દુનિયા અમલ કરી રહી છે. ત્યારે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિએ દેશને સ્વચ્છતા અભિયાનની પણ ભેટ આપી છે. તેમ સાંસદશ્રી ડો.કે.સી.પટેલે જણાવ્યુ હતું.

પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં બોલતા ડો.પટેલે પર્યાવરણ જાળવણી માટે ઉજ્જવલા ગેસ યોજના જેવી યોજનાને કારણે વનો ઉપરનું ભારણ ઘટ્યું છે તેમ જણાવ્યુ હતું. ડાંગના કિંમતી વનો અને પર્યાવરણ તથા કુદરતી સ્ત્રોતોનું જતન-સંવર્ધન કરવાની હાંકલ પણ તેમણે આ વેળા કરી હતી.

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ થકી ડાંગના પ્રજાજનો ખૂબ સુખસમૃદ્ધિ પામે તેવા આશીર્વચન પણ સાંસદશ્રી કે.સી.પટેલે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી વેળા આપ્યા હતા.

પર્યાવરણનું માહાત્મ્ય વિશ્વ આખાયે સ્વીકાર્યું છે ત્યારે તેને બચાવવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, બદલાતા પર્યાવરણની સારી માઠી અસર માનવ જીવન સહિત સમગ્ર પ્રકૃતિ ઉપર પડે છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દરેકે ગંભીરતાથી લેવી જોઈએ તેમ કહ્યું હતું.

પોતાના મનનીય વક્તવ્યમાં બોલતા શ્રી મંગળભાઈ ગાવિતે પ્લાસ્ટિક જેવા પદાર્થો પર્યાવરણ સહિત માનવ અને પશુ-પક્ષીઓ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યા છે તેમ જણાવ્યુ હતું. ‘મિશન લાઈફ’ નો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં પ્રમુખશ્રીએ સ્વસ્થ જીવનશૈલી માટે પર્યાવરણ જતન-સંવર્ધન ખૂબ જરૂરી છે. કોરોના મહામારીએ પર્યાવરણનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં કોરોનાના બે બે ફેઝ દરમિયાન અનુભવાયેલી બાબતોને લક્ષમાં લઈ, વનો અને વૃક્ષોનું મહત્વ સમજવું પડશે, તેમ પણ ઉમેર્યું હતું.

શ્રી મંગળભાઈ ગાવિતે ડાંગના વન પર્યાવરણને જાળવવા માટે અહી કોઈ ઉધોગગૃહો નહીં સ્થાપીને, ગૃહ ઉધોગોને વધુ પ્રોત્સાહન આપવાની સરકારની નીતિ રહી છે. ત્યારે પ્રાકૃતિક જિલ્લાનું બહુમાન પ્રાપ્ત કરેલા ડાંગ જિલ્લાને શુદ્ધ હવા, પાણી, ખોરાક મળી રહે તેની જવાબદારી અહીના ખેડૂતોની છે તેમ પણ વધુમાં ઉમેર્યું હતું.

સ્થાનિક બરછટ અનાજને શ્રીઅન્ન તરીકે જાહેર કરીને વડાપ્રધાનશ્રીએ ‘ મિલેટ ઇયરની ઉજવણીને સાર્થક કરી છે, તેમ જણાવતા પ્રમુખશ્રીએ સૌને પર્યાવરણ જાળવણીની હાંકલ કરી હતી.

નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદે ઉપસ્થિત રહેલા પ્રજાજનોને પર્યાવરણના કાર્યક્રમમાં ભાગીદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. વન જતન અને સંવર્ધન જેવા વિષયે સતત જાગૃતિ જરૂરી છે. ત્યારે ‘મિશન લાઈફ’ જેવા કાર્યક્રમો પ્રજાજનોમાં સતત જાગૃતિ લાવવામાં અગત્યની ભૂમિકા ભજવશે તેમ તેમણે જણાવ્યુ હતું. પ્લાસ્ટિકનો ઉપયોગ માનવ જીવન માટે કેટલો જોખમી છે તેની પણ શ્રી પ્રસાદે આ વેળા વિસ્તૃત જાણકારી આપી હતી.

પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જિગ્નેશ ડોબરિયાએ પર્યાવરણના જતન, સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ ડાંગ જિલ્લાને વધુ વૃક્ષો વાવી ખૂબસુરત બનાવવાની હિમાયત કરી હતી. પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક સુંદરતાને વધુ સુદ્રઢ બનાવવાની પણ ડો. ડોબરીયાએ આ વેળા અપીલ કરી હતી.

‘મિશન લાઈફ’ અંતર્ગત આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન બોટાનીકલ ગાર્ડનના મદદનીશ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે મદદનીશ વન સંરક્ષક શ્રીમતી આરતી ભાભોરે આભાર વિધિ આટોપી હતી.

કાર્યક્રમના ભાગરૂપે મહાનુભાવોએ રાજ્યકક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળી, પર્યાવરણ જાળવણીના શપથ પણ ગ્રહણ કર્યા હતા. કે.વી.કે ના વૈજ્ઞાનિક ડો. હર્ષદ પ્રજાપતિએ કાર્યક્રમનુ સંચાલન કર્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવો એ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ઓડીટોરીયમ ખાતે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, વન સરક્ષક શ્રી દિનેશ રબારી, નાયબ પૉલિશ અધિક્ષક શ્રી સુનિલ પાટિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વઘઇ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી લી. ના પ્રમુખ શ્રી બીપીનભાઈ રાજપૂત તથા બોટાનીકલ ગાર્ડન અને વઘઇ વન વિભાગના અધિકારીઓ, વનકર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *