
રિપોર્ટ, મયુર પટેલ
સુરત શહેરથી લગભગ ૩૮ કિ.મી.ના અંતરે એક રમણીય, આકર્ષક અને આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શિવનું મંદિર અને ભગવાન શિવની વિશાળકાય પ્રતિમા ધરાવતું તીર્થક્ષેત્ર ‘ગલતેશ્વર’. આ મંદિર કામરેજ તાલુકાના ટીંબા ગામમાં તાપી નદીના કાંઠે આવેલું છે. અહીં ૬૨ ફૂટની ઉંચાઈ ધરાવતી ભગવાન શિવની મનમોહક પ્રતિમા છે. મંદિરમાં દેશના બારેય જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ થઈ જાય છે. આ મંદિરની ડાબી બાજુ શ્રી રામ, માતા સીતા તથા લક્ષ્મણ મંદિર પણ આવેલા છે.
મંદિરની આજુબાજુ રમણીય બાગ-બગીચાનું નિર્માણ કરીને પ્રવાસનધામ રૂપે વિકાસાવવામાં આવ્યું છે. મંદિરની પાછળની તરફ ગંગા, તાપી અને ગુપ્ત ગંગાના મિલનથી ત્રિવેણી સંગમ રચાય છે. ભક્તજનોની શ્રધ્ધા છે કે ત્રિવેણીમાં સ્નાન માત્રથી શરીરના સર્વ રોગો દૂર થાય છે.