રિપોર્ટ ,મયુર પટેલ

બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવામાં 725 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. અલૂણા વ્રત દરમિયાન શાળાની અંદર જુદી જુદી સ્પર્ધા જેવી કે મહેંદી સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા,કેશ ગૂંફન સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની શિક્ષિકાઓ દ્વારા દરરોજ જુદી જુદી પ્રવૃત્તિઓની સ્પર્ધા કરવામાં આવી જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ પણ ખૂબ ઉત્સાહિત થઈને મોટી સંખ્યામાં ભાગીદાર બની અને વિદ્યાર્થીનીઓ માટે નવતર પદ્ધતિથી મૂલ્યાંકન યોજવામાં આવ્યું. શાળામાં કુલ ચાર પ્રવૃત્તિમાં 150 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. માધ્યમિક વિભાગમાં100 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. એમાં પ્રથમ ત્રણ ક્રમ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો એમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રમાણે કુલ 26 વિદ્યાર્થીનીઓ ઇનામ મેળવવાને પાત્ર બની હતી. લાયન્સ ક્લબના પ્રમુખ આનંદીબેન વશીના વરદ હસ્તે આ વિદ્યાર્થીનીઓને લંચ બોક્સ અને આરતી શણગારમાં ભાગ લેવા બદલ પ્રોત્સાહન ઇનામ તરીકે 7 છોકરાઓને પણ વોટર બોટલ એનાયત કરવામાં આવી.ઉપયોગી ઇનામો પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ હતી.
ઇનામ વિતરણના પ્રમુખ સ્થાને આનંદીબેન વશી પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ ક્લબ ઓફ સુરત સીટીલાઈટ દ્વારા છેલ્લા એક વર્ષમાં શાળાની પ્રગતિથી પોતે વાકેફ હોય ખૂબ આનંદિત થઈ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારની આ શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાથી હું ખૂબ જ પ્રભાવિત છું શાળાના બાળકોને વર્ષ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિ થશે તેના સંપૂર્ણ ઇનામ લાયન્સ ક્લબ તરફથી આપવામાં આવશે એવો નિર્ણય જાહેર કર્યો. જેને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. આનંદીબેન એ વધુમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમને મળેલી આ તકને એક મજા સમજીને પ્રવૃત્તિમાં ભાગ લેશો તો તમારા જીવનમાં સતત ઉર્જાનો સંચાર થશે મહિલા સશક્તિકરણના આ સમયગાળામાં મહિલાઓએ વિશ્વભરમાં ખૂબ પ્રગતિ કરી છે આજની મહિલા અબળા નથી રહી પણ સબળા બનીને સમાજનની સુરક્ષા કરી રહી છે, સમાજની સેવા કરી રહી છે, સમાજને આગળ લાવી રહી છે. અત્યારે વિશ્વની મહિલાઓ જે યોગદાન આપી રહે છે તેમનું સ્થાન લેવા માટે તમારે ભવિષ્યમાં તત્પર બનવાનું છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે દરેકના માટે બધા રસ્તા ખુલ્લા છે જે કંઈ પણ કરવું હોય એ આપણે કરી શકીએ છીએ માટે અદમ્ય ઈચ્છા રાખશો તો ધ્યેય સુધી પહોંચી શકાશે. સ્ત્રીઓના જીવન માં સંઘર્ષ લખાયેલા છે એને પાર કરનારી સ્ત્રીશક્તિ છે.
મહેમાન તરીકે નીતિ નાયક, ધનસુખભાઈ શાહ અને હિરેનભાઈ હાજર રહ્યા હતા. આચાર્યશ્રી સંજય પરમાર દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકાર આપી શાળાની તમામ પ્રવૃત્તિઓમાં આર્થિક યોગદાન આપવા માટે આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વાતિબેન પાટીલ અને આભાર વિધિ જિજ્ઞાસાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.