કેન્સર જેવા મહારોગને નાથવા પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય :- શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
અસંખ્ય સ્વાસ્થ્ય લાભ માટે મિલેટને જ આહારનો અભિન્ન અંગ બનાવો :- દસક્રોઇ ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ અંતર્ગત અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાના પીરાણા પ્રેરણાપીઠ ખાતે માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો મિલેટ મેળો – પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા દસક્રોઇના ધારાસભ્યશ્રી બાબુભાઇ જે. પટેલ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલે મિલેટ મેળાનુ મહત્વ આપતાં સમજાવ્યુ હતુ કે, સદીઓથી તૃણ ધાન્ય પાકો જેવા કે બાજરી, જુવાર તથા બંટી વગેરે આપણા આહારનો અભિન્ન ભાગ છે. અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ઉપરાંત, તૃણ ધાન્ય પાકો ઓછા પાણી અને મર્યાદિત ઈનપુટની જરૂરિયાત સાથે વાવેતર કરી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે આથી ખેડુતોને મિલેટ પાકોનું વાવેતર વધારવા માટે ખેડુતોને પ્રોત્સાહીત કર્યા હતા તથા માન. વડાપ્રધાનશ્રીએ મિલેટ પાકોના મહત્વ બાબતે સમગ્ર વિશ્વ ને જાગૃત કરી, તન સ્વસ્થ તો મન સ્વસ્થ પર ભાર મુકયો તે બદલ સમગ્ર ખેડુતો વતી વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો.
પૂર્વ કેબીનેટ મંત્રી. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાલનાં બદલાતાં વાતાવરણ અને નવા રોગ-જીવાત વગેરે અન્ય પડકાર સામે અને આપણી ફૂડ સીક્યુરીટી માટે મિલેટ પાકોના મહત્વ બાબતે જાણકારી આપી હતી તથા વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે માન. વડાપ્રધાનશ્રી દ્વારા ભારતવર્ષના સમગ્ર ખેડુતોના હીતને ધ્યાને લઇ મિલેટ પાકોના મહત્વ અને ઉપયોગીતા બાબતે સમગ્ર વિશ્વને આહવાન કરતા, હવે મિલેટ પાકોની માંગ વધી છે તથા ઘણા નાગરીકો જંક ફુડની જગ્યાએ મિલેટથી બનેલા ઉત્પાદન આરોગતા થયા છે તથા આ કારણસર ખેડુતોને મહત્તમ ફાયદો થવાનો છે. તથા અમદાવાદ જીલ્લાના કેલીયાવાસણા જેવા ગામોનું ઉદાહરણ આપી કેન્સર, ડાયાબીટીસ જેવા મહારોગને ડામવા તથા સમગ્ર ભારતવર્ષને આવા રોગથી બચાવવા માટે તમામ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકવા આહવાન કર્યુ હતુ. આ સિવાય પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતશ્રી દ્વારા ખેડુતો સમક્ષ પોતાની સાફલ્ય ગાથા રજૂ કરવામાં હતી.
મિલેટ મેળા દરમ્યાન પ્રાકૃતિક કૃષિ કરતા હોય તથા મિલેટ પાકોનું વાવેતર કરતા હોય તેવા ખેડુતોને શાલ તથા પ્રશસ્તિપત્ર દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે સન્માનવામાં આવ્યા હતા તથા ખેતીવાડી વિભાગ દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તબકકે માન. સંયુકત ખેતી નિયામકશ્રી, અમદાવાદ એ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહીતી આપી હતી.
આ કાર્યક્રમમાં શ્રી નીતિનભાઇ શુકલ, સંયુકત ખેતી નિયામક (વિ), અમદાવાદ વિભાગ, અમદાવાદ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુરેશભાઇ પટેલ સહિત જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા કૃષિ યુર્નિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનીકશ્રી અમિત પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામક (તાલીમ), નાયબ બાગાયત નિયામકશ્રી, ખેતીવાડી ખાતાના તમામ મદદનીશ ખેતી નિયામકશ્રીઓ, વિસ્તરણ અધિકારી (ખેતી), ગ્રામસેવકશ્રીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં દસક્રોઇ તાલુકાના પ્રગતિશીલ ખેડુત ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તબકકે ખેડુતોને વધુ માહીતી મળી રહે તે બાબતે આણંદ કૃષિ યુર્નિવર્સીટીનો મિલેટ પાકો તથા ઉત્પાદનો માટેનો લાઇવ સ્ટોલ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનો સ્ટોલ, જી.જી.આર.સી, ખેતીવાડી, બાગાયત, ગુજરાત રાજય બીજ નિગમ, ઇફકો, ડ્રોન ટેકનોલોજી, સોલર ફેન્સીંગ વગેરે માટેના કુલ ૧૫ થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતા.