




કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ રહ્યા ઉપસ્થિત
પ્રાકૃતિક ખેતી સબંધિત સ્ટાર્ટ અપ શરૂ કરનારા યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટનેબિલિટી દ્વારા પારસ પર્વ અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર ‘ફિલ્ડ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વસહાય જૂથોની મહિલાઓ, ખેડૂતો તથા યુવાનોને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતતા લાવવા અને માહિતગાર કરવાનો હતો. વધુમાં ડ્રોન ટેકનોલોજી વિશે પણ જાણકારી આપવામાં આવી હતી તથા આ ટેક્નોલોજીનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કેવી રીતે થઈ શકે તેના વિશે પણ જણાવાયું હતું.
‘ફિલ્ડ ડે’ની ઉજવણી અંતર્ગત અહીં ડ્રોન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ પણ અપાઈ હતી. આ સાથે અહીં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટનેબિલિટીના ડાયરેકટર, GLPCના ડાયરેક્ટર, આત્માના ડાયરેકટર દ્વારા માર્ગદર્શન અને વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખ, ગામના સરપંચ તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.