સાયલા ખાતે ‘‘સાત પગલા ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી પુરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટુલ અને કાંટાળી વાડની યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ સાયલા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડુતોના ફળ અને શાકભાજીનો બગાડ અટકે, રોકડીયા પાકનું ઉત્પાદન કરી ખેડુત પોતાનો પકવેલો માલ પોતે વેચતો થાય અને ખેડુતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય અને ખેડુત રૂપિયા નહીં ડોલર કમાતો થાય તે દિશામાં રાજ્ય સરકાર વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજના થકી મક્કમતાથી આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોની આવકમાં વધારો થાય તે માટે ખેડુતલક્ષી અનેક નિર્ણયો કરવાની સાથે ગુજરાત સરકારે રાજ્યના ખેડુતો ઉપર આવેલી આફતોમાંથી તેને બહાર લાવવાના હેતુસર છેલ્લા ચાર વર્ષોમાં કરોડો રૂપિયાના સહાય પેકેજ જાહેર કરી ખેડૂતોની પડખે ઉભી રહી છે. આ વર્ષે પડેલા ભારે વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડુતોને નૂકશાન થયું છે, તેના માટે પણ રૂપિયા ૩૫૨ કરોડનું કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે અન્વયે ચોટીલા તાલુકાના ૮૮ ગામોમાં રૂપિયા ૨૬૨૬ લાખ, ચૂડા તાલુકાના ૩૬ ગામોમાં રૂપિયા ૨૫૩૭ લાખ, દસાડા તાલુકાના ૮૯ ગામોમાં રૂપિયા ૫૬૯૮ લાખ, ધ્રાંગધ્રા તાલુકાના ૬૫ ગામોમાં રૂપિયા ૫૩૦૨ લાખ, લખતર તાલુકાના ૪૩ ગામોમાં રૂપિયા ૩૨૦૦ લાખ, લીંબડી તાલુકાના ૬૦ ગામોમાં રૂપિયા ૪૬૭૧ લાખ, મૂળી તાલુકાના ૫૪ ગામોમાં રૂપિયા ૩૨૭૪ લાખ, સાયલા તાલુકાના ૭૧ ગામોમાં રૂપિયા ૩૦૯૯ લાખ, થાન તાલુકાના ૨૯ ગામોમાં રૂપિયા ૯૦૨ લાખ અને વઢવાણ તાલુકાના ૪૮ ગામોમાં રૂપિયા ૩૮૬૩ લાખ કૃષિ સહાય પેકેજ સ્વરૂપે ખેડુતોને આપવામાં આવશે. આ તકે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેન્દ્રિય ખેતીમાં કૃષિ ઈનપુટમાં નવિનતમ કૃષિ ટેકનોલોજીના ઉપયોગ અન્વયે પ્રમાણપત્ર તેમજ લાભાર્થી ખેડુતોને યોજનાના મંજુરીપત્રો / હુકમોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે પુર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, એ.પી.એમ.સી.ના ચેરમેન સર્વશ્રી કાળુભાઈ, રઘુભાઈ ખાંભા સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.




