વિશ્વવ્યાપી કોરોના મહામારીએ ફરીવાર રાજય તથા સમગ્ર દેશમાં પગ પેસારો કર્યો છે . કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે ગુજરાત રાજય દ્વારા કોરોનાને કાબુમાં લાવવા માટે જરૂરી પગલાઓ અને નિયમોની અમલવારી કરેલ છે તે આવકારદાયક છે . જે અનુસંધાને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , નોડલ ઓફિસરશ્રી ( રાજકોટ જીલ્લો ) રાહુલ ગુપ્તા , કલેકટરશ્રીમતી રેમ્યા મોહન તથા મ્યુનિસીપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સમક્ષ નીચે મુજબ રજુઆતો ધ્યાને મુકેલ છે . ( ૧ ) સરકારશ્રીએ શહેરમાં રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી રાત્રી કર્ફયુની અમલવારી કરેલ છે . જે સબબ અગાઉ સતત ૨ મહિના આસપાસ લોકડાઉનને કારણે વેપાર – ઉદ્યોગને પારાવાર નુકશાન થયું છે અને આર્થિક મંદીમાં સંપડાયેલ છે . વેપાર – ધંધાએ માંડ માંડ વેગ પકડયો હોય ત્યારે રાત્રી કર્ફયુના સમયમાં ફેરફાર કરવો અયોગ્ય જણાઈ રહયું છે . સાથો સાથ હાલમાં જ રાજયની ઈન્કમટેક્ષ આવકમાં પણ ૧૦ થી ૧૫ % નો ઘટાડો થયો છે ત્યારે વેપાર – ધંધાઓમાં આર્થિક નુકશાન ન થાય અને લોકો સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું પાલન કરી પોતાનો વેપાર – ધંધો મોડે સુધી કરી શકે તે માટે રાત્રી કર્ફયુનો સમય ઘટાડી રાત્રીના ૧૧ થી ૬ રાખવા રજુઆત કરેલ છે . ( ૨ ) કોરોના સંક્રમણના ફેલાવવા તથા તેને કાબુમાં લેવા માટે સરકારે રસી આપવાની શરૂઆત કરેલ છે . જે ખરેખર પ્રસંશનીય અને આવકાદાયક કામગીરી છે . હાલ રસી આપવા માટેની કામગીરી માત્ર સરકારી હોસ્પીટલો , આરોગ્ય કેન્દ્રમાં તથા અમુક જ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે . ત્યારે શહેરની પાત્રતા ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણની કામગીરી કરવાની મંજુરી આપવી જરૂરી છે . જેથી કરીને રસીકરણની કામગીરી ઝડપથી થઈ શકે અને સંક્રમણના ફેલાવવાને અટકાવી શકાય . સરકારશ્રીએ સૌપ્રમથ કોરોના વોરીયર્સ અને ૬૦ વર્ષના વડીલો તથા ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બીડ દર્દીઓને જ રસી આપવાનું નકિક કરેલ છે . પરંતુ હાલ બીજા તબકકામાં કોરોનાની અસર વધુ પ્રસરી ગયેલ હોય ત્યારે ૪૫ વર્ષથી વધુના ઉમરના તમામ લોકોને તાત્કાલીક અસરથી પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવે તેવી રજુઆત કરેલ છે . સાથો સાથ તમામ વેપાર – ઉદ્યોગકારો તથા આમ પ્રજાજનોને કોરોનાની ભયંકર બીજી લહેરને ધ્યાનમાં રાખી સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું પાલન કરી સાવચેતી રાખવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે .

