વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડના નવા ઓઢવ આદીનાથનગર વિસ્તારમાં પ્રજાજનોને ઘરઆંગણે જ સુચારુ રૂપે સત્વરે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સુવિધાઓ અને સર્વેલન્સ સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે ₹ ૪.૭૯ કરોડના ખર્ચે નિર્માણધીન નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર તેમજ ૩૦ બેડની અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ માનનીય ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે વૃક્ષારોપણ કરી વૈશ્વિક પર્યાવરણ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ પણ કર્યો. ૭૪૨૧ ચો.મી. વિસ્તારમાં આ આધુનિક સુવિધા સભર હેલ્થ સેન્ટરમાં ઇમરજન્સી રૂમ, પીડીયાટ્રીક વોર્ડ, લેબોરેટરી, એક્સ-રે રૂમ, ગાયનેક રૂમ, મેજર અને માઇનોર ઓપરેશન થીયેટર, ઓટોક્લેવ રૂમ, સ્ક્રબ રૂમ, ડેન્ટલ રૂમ, લેબર રૂમ, સ્ટોર રૂમ, ડોટસ રૂમ, સુપ્રીટેન્ડન્ટ રૂમ, સ્ટાફ રૂમ સહિતની આધુનિક આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ છે. જે કાર્યાન્વિત થતાં વસ્ત્રાલ વોર્ડના નવા આદીનાથ વિસ્તારના કૃષ્ણનગર, દીપાલીનગર, ગોકુલનગર અને આજુબાજુ વિસ્તારના અંદાજે ૧.૨૫ લાખ રહીશોને ઘરઆાંગણે આરોગ્ય સુવિધાનો લાભ મળી રહેશે. માનનીય ગૃહપ્રધાને જણાવ્યું કે રાજ્ય સરકાર સૌજનના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને અનેક ઉત્તમ આરોગ્યલક્ષી કામગીરી દ્વારા ગુજરાતને સ્વસ્થ-તંદુરસ્ત બનાવીને વિકાસની હરણફાળ ભરવા કટિબદ્ધ છે.







