પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આઠમો દિવસ
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આઠમો દિવસ એટલે વર્ષ દરમ્યાન લાગેલા પાપોથી આત્માને સંવત્સરી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધ કરવાનો અવસર એટલે આજનું સંવત્સરી મહાપર્વ. પાપોની કબૂલાત તેનો પસ્તાવો અને તેનું પ્રાયશ્ચિત એટલે પ્રતિક્રમણ.મન વચન અને કાયાથી નાના કે મોટા કોઈ પણ જીવને દુભવ્યા હોય તો ક્ષમા માંગવાનો અવસર એટલે સંવત્સરી પર્વ.પર્યુષણનો પ્રાણ છે ક્ષમાપના.જ્યાં સુધી જગતના એક પણ જીવ સાથે વૈર કે દ્વેષ હોય ત્યાં સુધી આપણા આત્માને મોક્ષ થતો નથી.કષાયોથી ભરેલું મન તેજ સંસાર છે અને ક્લેશ રહિત મન તેજ મોક્ષ છે.અહંકાર માણસને નમવા દેતો નથી અને વગર વૈરની ગાંઠ ઉકેલી શકાતી નથી.શેરડીના સાંઠામાં જ્યાં ઘાટ હોય છે ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ હોતી નથી.સૌ પ્રત્યેનો પ્રેમ પરમાત્માના પ્રેમ પ્રતિ દોરી જાય છે.સઘળી ધર્મ આરાધનાનું અંતિમ લક્ષ્ય તો કષાય મુક્તિ છે.દરરોજ કરાતી અડતાલીશ મિનિટની સામાયિક ની આરાધના કષાય મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે.વિશ્વ યુદ્ધના આરે આવીને ઊભેલી દુનિયાને આજે સૌથી વધુ જરૂર મહાવીર સ્વામીના મૈત્રી ના સંદેશની છે.ક્ષમાપના ઔપચારિકતા ન બની રહેતા આત્મીયતા બનાવી જોઈએ.દુનિયાનાં તમામ જીવોને અભયદાન આપીને શત્રુભાવને ઓગાળી નાખનાર મુનિઓ ક્ષમાશ્રમણ કહેવાય. જે ક્ષમા માંગે છે અને ક્ષમા આપે છે તે જ આરાધક છે. જગતના તમામ જીવોને ખમાવો અને મૈત્રીનો પૈગામ ફેલાવો. આઠ દિવસની આરાધના નો આનંદ વર્ષભર સ્મૃતિ સુગંધ પ્રસરાવતો રહે તો આરાધના સાર્થક બની તેમ માનવું જોઈએ.મિચ્છામી દુક્કડમ
જીજ્ઞા શેઠ પાટણ


