કચ્છ જિલ્લામાં તમામ લોકો પુરક પોષણ(પોષણ યુક્ત ખોરાક ) વિશે તેમજ સ્વસ્થ જીવન જીવવાની રીતથી જાગૃત થાય તે માટે વિવિધ પ્રયત્નો ICDS વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે . આ માટે વિશેષ માસ તરીકે પોષણ માસ ઉજવવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોષણ રેલી કાઢવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં કુલ ૧૮૧૮ આંગણવાડી કેન્દ્રો દ્વારા રેલી યોજવામાં આવી અને તેમાં ૧૮૯૦૪ લોકોએ ભાગ લીધો હતો.
જેમાં મોટે ભાગે કિશોરીઓ અને મહિલાઓ જોડાઈ હતી. આ રેલીનો મૂળ ઉદેશ્ય ઘરે ઘરે લોકોમાં પોષણ યુક્ત આહાર સાથે સ્વચ્છતા વિષે જાગૃતિ આવે જેથી કોઈ કુપોષિત બાળક ના રહે આ માટે માતા સ્વસ્થ હશે તો બાળક તંદુરસ્થ થશે તેથી સગર્ભા મહિલાઓને પુરતો પોષણ યુક્ત આહાર મળી રહે તેવા પ્રયત્નો આંગણવાડી કેન્દ્રો કરી રહ્યા છે. આ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃ શક્તિના પેકેટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ખોરાકમાં દરેક જાતના વિટામીન મળી રહે તે માટે લીલા શાકભાજી તથા કઠોળ, ફ્રુટનો વધુ ઉપયોગ તથા તેને ઉપયોગ કરવાની રીત સમજવામાં આવી હતી.
આ માટેના રેલી ના મુખ્ય સુત્રો હતા જેવાં કે ,(૧) “હાથ ધોઈને રાંધો રાંધીને હાથ ધુવો” (૨) લીલી ભાજી લીલા શાક, ખાજો રોજ ન લાગે થાક (૩)કિચન ગાર્ડનમાં વાવો શાકભાજી , પુરક પોષણમાં ઉમેરો ભાજી (૪) સરગવાની શીંગ અને પાન , આરોગ્ય માટે અમૃત સમાન (૫) કાચા સલાડમાં ઉમેરો દહીં, બીમારીની ચિંતા રહે નહિ .(૬) સગર્ભા ધાત્રીને કિશોરી THRનો ખાજો શીરો, કુપોષણ તમારું થઇ જશે ઝીરો (૭) જે ખાય બીટ ને ગાજર , તંદુરસ્તી ત્યાં રહે હાજર, (૮) બર્ગર , દાબેલી, પાંઉ પીઝા એ તો નર્ક ના વિઝા (૯)જે મોડે સુધી જાગે તે રોજ દવા માંગે (૯) બીડી તમાકુ અને ગુટખા , તેને લાગે બીમારીના ઝટકા (૧૦) એક્યુપ્રેસરને પાળો, રોજની ૧૦૮ તાળી પાળો , ૧૦૮ ને તમારાથી ટાળો . સંકલિત બાળ વિકાસ યોજના (icds) વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન એચ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાએલી આ રેલીને લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો એમ નિહારીકાબેન પુજારાએ માહિતી આપતા જણાવ્યું હતુ.




