વડાપ્રધાનશ્રી રૂ.૧૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચારમાર્ગીય ભુજ-ભીમાસર રોડનું  ભૂમિપૂજન કરશે

ભુજ બુધવાર

         ગોઝારા ભુકંપમાંથી અભૂતપુર્વ હરણફાળ પ્રગતિ કરી વિશ્વમાં અગ્રેસર બનનારા કચ્છમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વિવિધ ૧૩ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત  થનાર છે. જે પૈકી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ રૂ. ૧૩૭૩કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૫૯.૭૫ કિલોમીટરના ભીમાસર-અંજાર-ભુજ પ્રોજેક્ટના ચારમાર્ગીય હાઇવેનું ખાતમૂહુર્ત  માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભુજ્થી વર્ચ્યુઅલી કરાશે.

          પ્રવાસન અને ઔદ્યોગિક  રોજગારી માટે આ ફોર લેન હાઇવે વિકાસનો રાજમાર્ગ બનશે. ભુજ ભીમાસર હાઇવે કચ્છના પ્રવાસન અને આર્થિક વિકાસની ગતિને વધુ વેગમાન બનાવશે. અનેક પ્રગતિનો વિકાસ માર્ગ બનનાર આ માર્ગ  વેપારીઓ ,કલાકારો અને નાગરિકોની આગવી ઓળખ ઉભી કરવા અને આર્થિક ઉન્નતિ  વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કંડલા પોર્ટ માટે  અને ટ્રાન્સપોર્ટેશન ટાઉન ગાંધીધામ માટે વિકાસની ચાવીરૂપ બની શીપીંગ અને  ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થામાં નોંધનીય બની રહેશે એમ નેશનલ હાઈવે ઓથોરિટીના ડેપ્યુટી મેનેજર શ્રી મયુરભાઈ નાલવડે જણાવે  છે.

          તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂકંપમાં હતાશ કચ્છને પાલક પિતા બની વિશેષ દરકાર કરી વિશ્વ નોંધનીય બનાવ્યું છે. કચ્છમાંથી જ કચ્છની કમાણી કરાવવાના વિવિધ માર્ગો પૈકી  પ્રવાસન, કચ્છ કારીગીરી, અને કલાને વિશ્વ નકશામાં મૂક્યું છે. વ્યાપાર, રોજગારી અને શિક્ષણને પણ યશસ્વી વડાપ્રધાને મહત્વ આપી દરેક ગામને દરેક શહેર સાથે જોડવાના ભારત માલા પરિયોજના હેઠળ વિકાસની તેજ ગતિ પકડી છે. તેમાં ૫૯.૭૫ કિ.મીનો આ રોડ મહત્વપૂર્ણ છે. હસ્ત કારીગરીના કલાકારો અને કલાની સાથે બોર્ડરના રસ્તા ઉપર પહોંચવા ડિફેન્સના જવાનો અને વાહનો માટે આ માર્ગ  મહત્વનો રહેશે.

         આ માર્ગના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટશે તેમજ આવન જાવનની અને વાહનવ્યવહારની ગતિ વધશે. પ્રવાસન અને આર્થિક ગતિ ને વધુ વેગમાન બનાવશે તેમજ શિક્ષણ અને રોજગારીમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવશે આ માર્ગ .

        રૂ.૧૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચારમાર્ગીય ભુજ-ભીમાસર રોડનું વડાપ્રધાનશ્રી દ્વારા ભૂમિપૂજન કરાશે. ભારત પરિમાલા યોજના હેઠળ  નિર્માણ પામનાર ચાર માર્ગીય ભુજ ભીમાસર  રોડના નિર્માણથી આસપાસના ગામોનો વિકાસ થશે તેમજ પરોક્ષ રીતે હજારોની સંખ્યામાં રોજગારીની તકો પણ ઊભી થશે. આ પ્રોજેક્ટના લીધે વીઘાકોટમાં તૈયાર થઈ રહેલા એશિયાના સૌથી મોટા રીન્યુએબલ પાર્ક સુધી જોડાણ ઝડપી અને સરળ બનતા તેનો લાભ જોડાયેલા સૌને મળશે.

          આ ચાર માર્ગીય રસ્તો નેશનલ હાઇવે ૪૧ પરથી શરૂ થશે અને ભુજ એરપોર્ટ સુધી નેશનલ હાઈવે ૩૪૧ સુધી જશે. ૫૯.૭૫ કિલોમીટરના ચાર માર્ગીય ભુજ ભીમાસર પ્રોજેક્ટ થી ભીમાસર, અજાપર, વરસામેડી, અંજાર, સાપેડા ,રતનાલ, ચુબડક, વાવડી , રેલડી નાની, રેલડી મોટી, કુકમા અને ભુજ જેવા શહેર અને ગામોના લોકોને પરિવહનમાં સરળતા મળશે તેમજ તેમના આર્થિક અને સામાજિક વિકાસમાં આ રોડ મહત્વપૂર્ણ બનશે. આ રોડ નિર્માણથી આસપાસના ગામોનો વિકાસ થશે તેમજ પરોક્ષ રીતે સ્થાનિકો,કારીગરો ,કલાકારો અને વેપારીઓ તેમજ ઉદ્યોગો માટે લાભદાયક રહેશે.  કંડલાપોર્ટ  સાથેની આ હાઈવે કનેક્ટિવિટીથી પરિવહન વ્યવસ્થા  વધુ સરળ બનશે.

       કચ્છના વિવિધ ઉત્સવો તેમજ વર્લ્ડ હેરિટેજ અને કલ્ચરલ સાઇટ જેમકે ધોળાવીરા ,નિરોણા ,ભુજ અને હાજીપર જેવા સ્થાનો પર જવામાં ઝડપી અને ઓછા સમયમાં મુસાફરો પહોંચી શકશે. પ્રવાસન હબ બનેલા ભુજ શહેર અને જેસલ તોરલની ઐતિહાસિક સમાધિના મહત્વના કારણે અંજારના સ્થાનિકો તેમજ મુસાફરોના  પરિવહન તેમજ રોજગારી માટે આ માર્ગ મહત્વપૂર્ણ બનશે. ભીમાસર-અંજાર-ભુજ પ્રોજેક્ટના ચારમાર્ગીય હાઇવે ગુજરાત-કચ્છ –ભુજના  વિકાસનો  રાજમાર્ગ બનશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *