ઘોઘા-હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને તા.8 નવેમ્બરથી શરૂ થનારી ઘોઘા – હજીરા રો પેક્સ ફેરી સેવા અંગે વિગતવાર માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રી મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વકતુબહેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયરશ્રી અશોકભાઈ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.પત્રકાર પરિષદ સંબોધતા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેમ્બર, ૨૦૨૦ના રોજ સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે ૨૦ લાખ લોકો સહિત દક્ષિણ ગુજરાતનાં લોકો માટે આ રો-પેક્સ ફેરી સેવા પ્રધાનમંત્રી શ્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.હાલમાં સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવા શરૂ થયા બાદ આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. એ જ રીતે, દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે. તેમના માટે સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોચવું સુગમ બનશે. ફેરી સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં બંદર ક્ષેત્ર, ખાતર અને ફર્નિચર ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે. આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦ હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯,૦૦૦ લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.રો-પેક્સ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવર જવર સસ્તી અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેક્સને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેક્સ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેક્સ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થશે.હજીરા-ઘોઘા ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ચાલશે. એકી દિવસોમાં ઘોઘાથી સવારે ૭ અને સાંજે ૫ વાગ્યે અને હજીરાથી બપોરે ૧૨ વાગ્યે ફેરી ચાલશે. જ્યારે બેકી દિવસોમાં હજીરાથી સવારે ૭ અને સાંજે ૫ વાગ્યે અને ઘોઘાથી બપોરે ૧૨ વાગ્યાનો સમય રહેશે. ઓનલાઇન બુકિંગ https://www.dgseaconnect.com/ પર કરી શકાશે.આ રો પેક્સમા ૩૦ ટ્રક (૫૦ મેટ્રિક ટનવજન સહીત) 100 પેસેન્જર કાર તથા ૫૦૦ પેસેન્જર+ ૩૪શીપક્રૂ ની ક્ષમતા, કેમ્બે લોન્જ (વીવીઆઈપી), બિઝનેસ ક્લાસ, એક્ઝીક્યુટીવ જેવી સગવડતાઓ, ૨ ફૂડ કોર્ટ તેમજ સુરક્ષા અર્થે ૨૫ વ્યક્તિની ક્ષમતાવાળા ૨૨ નંગ લાઈફ રાફ્ટ, મરીન ઇવેક્યુએશન ડીવાઈસ જે તમામ મુસાફરોને ૨૫ મીનીટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે તેવા ૩૦૦૦ વ્યક્તિની ક્ષમતાવાળા ૨ નંગ અને ૩૦૦ વ્યક્તિની ક્ષમતાવાળા ૨ નંગ અને ૯ વ્યક્તિની ક્ષમતા ધરાવતી ફાસ્ટ રેસ્ક્યુ બોટ ૧ નંગ જેટલી સુવિધાઓ આ રો-પેક્સમા ઉપલબ્ધ છે.    

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ:-

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેમ્બરે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે
  • સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળશે દિવાળી ભેટ
  • સામાન્ય રીતે ૧૦-૧૨ કલાક લેતી હજીરા-ઘોઘા માર્ગ મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરી કરી શકાશે
  • રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *