








રિપોર્ટ, મયુર પટેલ
સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુનું નિવાસસ્થાન એટલે પવિત્ર યાત્રાધામ. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યભરમાં અક્ષય તૃતિયાના પાવન પર્વથી પવિત્ર યાત્રાધામ સફાઈ અભિયાન હેઠળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી સ્થિત સૂર્ય પુત્રી તાપી નદીના પવિત્રકિનારે આશરે પ હજાર વર્ષ જૂનું પૌરાણિક શંખેશ્વર મહાદેવ તીર્થ ધામ ‘ગાયપગલા’ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ સાફ-સફાઈ કરી હતી. આ સફાઈ અભિયાનમાં ૩૦૦થી વધુ સ્વચ્છ આગ્રહી સૈનિકોએ ‘ગાયપગલા’ સાંસ્કૃતિક વિરાસરની સફાઈ કરી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી જણાવ્યું હતું કે, તાપી તટે વસેલું પ હજાર વર્ષ જૂનું પૌરાણિક ‘શંખેશ્વર મહાદેવ તીર્થધામ’ મંદિર ગાયપગલાથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સારા સ્વાસ્થ્ય અને આવનારા સ્વસ્થ જીવન જીવવા માટે સ્વચ્છતાની એક સારી આદત કેળવવી ખૂબ જ આવશ્યક છે. સ્વચ્છતા એ પણ એક પુણ્યનું કાર્ય છે. સ્વચ્છતાના સૈનિકોએ યાત્રાધામની સ્વચ્છતા મહાસફાઈ અભિયાનમાં જોડાયા છે. લોકોની જાગૃતિ અને ભારત સ્વચ્છ અભિયાનમાં જોડાવાની ગુજરાતની સર્વગ્રાહી પહેલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલી કલ્પના ગુજરાતમાં સાકાર થશે. નોંધનીય છે કે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ અને ધોરણ પારડી સ્થિત મહાતીર્થ ‘ગાયપગલા’ મહાતીર્થ મંદિરોને જોડતા રસ્તાઓ અને પરિસરને પણ સ્વચ્છ રાખવા માટે મહાસફાઈ અભિયાન હાથ ધરાર્યું હતું. જેમાં મંદિરના શિખરથી લઈને મંદિરપરિસર, મંદિર ગર્ભગૃહ, ઓવારા, પાર્કિંગ, સત્સંગ હોલ, સહિત મુખ્ય મંદિરના રસ્તાઓની સફાઈ હાથ ધરાઈ હતી. ગાયપગલા તીર્થધામના રિડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારના પ્રવાસન તેમજ દેવાલય વિભાગ દ્વારા રૂપિયા ૬ કરોડની મંજૂરી પણ આપવામાં આવ્યા છે.
આ સફાઈ અભિયાનમાં ધારાસભ્યસર્વેશ્રી સંદિપભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડિયા, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સાવલિયા, અગ્રણીશ્રી ભરતભાઈ, શ્રી જગદિશભાઈ પારેખ, મામલતદારશ્રી, મંદિર ટ્રસ્ટીશ્રી જીગરભાઈ દેસાઈ, ભીખુભાઈ દેસાઈ, અધિકારીઓ, સરપંચશ્રીઓ, સહિત સંગઠન હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.