

પ્રાકૃતિક કૃષિનુ મહત્વ,પર્યાવરણની સુરક્ષા,જમીનની ફળદ્રુપતા સહિત મીલેટ ધાન્ય પાકો વિશે ખેડૂતોને માહિતગાર કરાયા…
.રિપોર્ટ.રાવ બીજેન્દ્ર યાદવકમલમ ન્યૂઝગોધરા
રાજ્યપાલશ્રીના દિશાનિર્દેશ હેઠળ રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિનો વ્યાપ વધે તે માટે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર,વેચાણ અને યોજનાકીય કામગીરીનું સતત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાત પંચાયત સંમેલનમાં કરેલ હાકલ મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ દરમ્યાન ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી છે.જે અંતર્ગત ગોધરા તાલુકાના આંગળીયા ક્લસ્ટર, પરવડી ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમમાં હાજર રહેલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનુ મહત્વ,પર્યાવરણની સુરક્ષા, જમીનની ફળદ્રુપતા સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત,બીજામૃત,વાફ્સા,આચ્છાદન (મલ્ચીંગ) અને મિશ્રપાક પધ્ધતિ જેવા વિવિધ વિષયો આવરી લઇ તબક્કાવાર માહિતી અપાઈ હતી. આ સાથે ખરીફ ઋતુમાં વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે હાકલ કરાઈ હતી. પ્રાકૃતિક કૃષિની સાથે આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે હલ્કા ધાન્ય પાકોનું મહત્વ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાની સહાય યોજનાનો I-khedut પોર્ટલ મારફત લાભ લેવા, સોઈલ હેલ્થ કાર્ડ જેવા વિવિધ વિષયો આવરી લઇ ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારી દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ બાદ જીવામૃત અને બીજામૃત બનાવવા અને તેનો ઉપયોગ કરવાની રીત પ્રેકટીકલ થકી સમજાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાથી ગ્રામસેવકશ્રી પી.આઇ.રાવલ દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક,પેટાવિભાગશ્રી એમ.કે. ડાભી, NFSMશ્રી યોગેશભાઇ પટેલ,આંગળીયા ક્લસ્ટરના ટેકનીકલ માસ્ટર ટ્રેનર હિમાન્સી ચૌધરી,ખેડૂત માસ્ટર ટ્રેનર સંગાડીયા ગુલાબભાઈ,શંકરભાઈ વસાવા,ગ્રામસેવક પી. આઇ.રાવલ,તલાટીશ્રીઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.