
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
ઝાંખરી નદીના કિનારે વસતા કેળકુઈ ગામના આદિવાસી લોકો પારંપારિક દેવ-દેવીઓના સ્થાનક ઉપર અંદાજીત સો વર્ષથી પૂજા અર્ચના કરતા હતા. સમગ્ર ગ્રામજનો ૧૦ વર્ષ પૂર્વે સંઘ સ્વરૂપે ભેગા મળી પાવાગઢની પદયાત્રા ત્રણ વખત પૂર્ણ કરી આસ્થા ના પ્રતિક રૂપે મહાકાલી માતાના મંદિરનું નિર્માણ કર્યું
વ્યારાઃ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ કેળકુઈ ગામ ઝાંખરી નદીના કિનારે વસેલું છે. અંદાજીત ૪૫૦૦ લોકોની વસ્તી ધરાવતા કેળકુઈ ગામમાં ચૌધરી,ગામીત,કોંકણી,કોટવાડિયાની જાતિના લોકો રહે છે. જેમાં મહત્તમ ૯૬ ટકા ચૌધરી લોકો રહે છે. અહીંના લોકો ખૂબ જ પછાત વિસ્તારમાં રહી ખેતી-પશુપાલન કરી જિવન નિર્વાહ ચલાવે છે. માં કાલીકા ચૌધરી લોકોની કુળદેવી હોવાનું માનવામાં આવે છે. કેળકુઈના ગાંધી ફળિયામાં વિશ્વ શાંતિ માટે શ્રી સહસ્ત્ર મહાકાલી ૧૧૧ કુંડી મહાયજ્ઞ મધ્યપ્રદેશના મઠાધિપતિ પપુ.અશોકાનંદ શાસ્ત્રીના સાંનિધ્યમાં ૨૧ વૈદિક બ્રાહ્મણો દ્વારા ૨૮ મે થી ૩૦ મે ૨૦૨૩ દરમિયાન યોજાશે. આ સ્થળ વ્યારાથી ૧૮ કિ.મી. અને વાલોડથી ૬ કિ.મી.ના અંતરે આવેલું છે.
ઝાંખરી નદીના કિનારે વસતા ચૌધરી લોકો પારંપારિક દેવ-દેવીઓના સ્થાનક ઉપર અંદાજીત સો વર્ષથી પૂજા અર્ચના કરતા હતા. અનાજ પાક તૈયાર થાય ત્યારે ગામની એક જગ્યા જેને ખડી તરીકે લોકો ઓળખે અને ત્યાં જ વારે-તહેવારે દેવ-દેવતાઓનું પૂંજન થતું હતું. ગામલોકોની એકતાના દર્શન અહીં થયા વિના રહેતા નથી. ગામના આગેવાન વડીલ લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક ૧૦ વર્ષ પૂર્વે સંઘ સ્વરૂપે ભેગા મળી પાવાગઢની પદયાત્રા ત્રણ વખત પૂર્ણ કરી હતી. આ સમય દરમિયાન અનેક પરચાઓ માતાજીએ પૂરા કર્યાની લોકવાયકા હોવાનું આયોજક અશોકભાઈ જી.ચૌધરીએ જણાવ્યું હતું. ત્યારથી આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ થાય તેવી અપેક્ષા ગ્રામજનોએ રાખી હતી. ભાવિક ભક્તો અને ગ્રામજનોએ ખૂબ જ આસ્થાના પ્રતિક રૂપે મહાકાલી માતાના મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો અને આજે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો અવસર આવી ગયો છે.
૨૮મે ૨૦૨૩ના રવિવારે ૮-૦૦ કલાકે કળશ યાત્રા,સવારે ૮ થી ૪ કલાકે હવન, પૂર્ણ આહુતી ૩૦ મે ૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે, ભંડારો ૨૮ મેથી ૩૦ મે ૨૦૨૩ સાંજે ૪-૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગાંધી ફળિયા કેળકુઈ ગ્રામજનોએ તમામ ભાવિક ભક્તોને આ મહાયજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.