બ્રહ્માકુમારીઝ આહવા દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

બ્રહ્માકુમારીઝ આહવા દ્વારા તા. ૨૪, ૨૫ અને ૨૬ જૂન ના રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આહવાના ચિલ્ડ્રનહોમ, નર્સિંગ હોસ્ટેલ, ગિરિકન્યા છાત્રાલય, તાલુકા સ્કૂલની કુમાર હોસ્ટેલ, અને ઉત્તર બુનિયાદી વલ્લભ વિધ્યાલય, તથા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે વ્યસનમુક્તિના કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે તા.૨૬ જૂનના રોજ ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્રહ્માકુમારીઝના સ્વયંસેવકો, શાળાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ રેલી ડાંગ સ્વરાજ આશ્રમ ખાતેથી કલેક્ટર ઓફિસ થઈ શહેરના મુખ્ય માર્ગેથી પસાર થઈ, આશ્રમના પ્રાર્થના હોલમાં એક સભાના રૂપમાં પરિવર્તિત થઈ હતી.

અહિં શાળાના વિધ્યાર્થીઓ સાથે નાનકડો પરિસંવાદ યોજવામા આવ્યો હતો. જેમાં વોર્ડના સભ્ય શ્રી ધર્મેશભાઈએ જણાવ્યુ હતુ કે, વ્યસન કરનારને મોઢાનું, જડબાનું, ગળાનું કેન્સર થવાની શક્યતા વધુ છે. આથી વ્યસનોથી મુક્ત રહેવા સર્વ વિધ્યાર્થીઓને અપીલ કરી હતી.

બી.કે. ઇનાબહેને વિધ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન વિશે સમજૂતી આપી હતી. જેમા વ્યસનથી થતા આર્થિક, સામાજિક નુકશાન વિશે સમજ આપી હતી. ઘરમાં વડીલોને પણ વ્યસનથી છોડાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વિધ્યાલય દ્વારા હોમિયોપેથી દવાનો સહારો લઈને પણ વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ આપ્યો હતો.

શાળાના આચાર્ય શ્રીમતી જાગૃતિબહેને જણાવ્યુ હતુ કે, વ્યસનથી આપણને કશું મળતું નથી. કોઈ પણ ભોગે વ્યસનનો નાશ કરીએ અને જીવનમાં સફળ બનીએ.

સાપુતારાથી પધારેલ બી.કે. મધુબહેને નશામુક્તી માટેની સૌને પ્રતિજ્ઞા કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે, તા. ૪ માર્ચ ૨૦૨૩ના રોજ ભારત સરકારના ‘સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ’ સાથે બ્રહ્માકુમારી સંસ્થા અને તેના મેડિકલ પ્રભાગે સમાજમાં જાગૃતિ લાવવાના લક્ષ સાથે દિલ્હીમાં MOU કર્યા છે. અનેક પ્રકારના વ્યસનો અને નશો, એ આજના સમાજની જ્વલંત સમસ્યા છે. તેથી બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *