
પર્યટનના મહત્વ અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્ય વિશે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.
પર્યટન મંત્રાલયે 27મી સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ થનાર પ્રવાસન ક્ષેત્રને સમર્પિત “ટ્રાવેલ ફોર લાઇફ” રજૂ કરવાની યોજના બનાવી છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ “મિશન લાઇફ”ને અનુરૂપ છે.
આ સંદર્ભમાં, મંત્રાલયે સમગ્ર ભારતમાં ઉપરોક્તપ્રવૃત્તિઓ માટે 108 સાઇટ્સની ઓળખ કરી છે. 108 સાઇટ્સમાંથી, 11 સાઇટ્સ ગુજરાતમાં છે વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છ ભારત ઉજવણી માટે સાઇટ્સમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી છે.

ભારત સરકારના પ્રવાસન વિભાગ અને સ્થાનિક સમુદાય અને પ્રવાસન હિતધારકોને સામેલ કરીને ગુજરાતના 11 અલગ અલગ પ્રવાસન સ્થળો તેમજ તીર્થ સ્થળોએ વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છતા કાર્યક્રમોનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સમુદ્ર કિનારે આજે સવારે 9 વાગ્યાથી સફાઈ કામદારો દ્વારા સફાઇ કરવામાં આવી હતી. ખાસ પર્યટન સ્થળ અને એમાં પણ ધાર્મિક સ્થળ પર આવતા યાત્રિકો પણ કચરો કચરા પેટીમાં નાખે તેમજ સોમનાથમાં તો વિશાળ સમુદ્ર કિનારો છે આ કચરો સમુદ્રમાં જવાથી સમુદ્રમાં રહેલા જીવોને પણ હાની પહોંચે જેથી કરી પર્યટન વિભાગ દ્વારા આવેલ અધિકારી રાધિકા શર્માએ આવતા યાત્રિકોને રોજીંદા કાર્યમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા એટલે પીવા માટે પ્લાસ્ટીકની બોટલનો ઉપયોગ છોડી તેને થર્મોસ કે કાચની બોટલોનો ઉપયોગ કરવા અને દરેક તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળોએ જગ્યા-જગ્યાએ કચરા પેટી મુકવામાં આવેલ હોય છે તેમાંજ કચરો નાંખવો જોઈએ, ગમે ત્યાં કચરો નાંખવો જોઈએ નહીં. કારણ કે સોમનાથ, દ્વારકા તેમજ બીજા આવા ઘણાં સમુદ્ર કિનારે જ્યારે આ પ્લાસ્ટીક કચરો પાણીમાં વહી અંદર સુધી જાય છે ત્યારે સમુદ્રી જીવને પણ આ પ્લાસ્ટીક કચરાથી નુકશાન થાય છે.

તીર્થ સ્થળો તેમજ આપણાં પર્યટન સ્થળો એ આપણી સંસ્કૃતિની ધરોહર છે, તેમાં ગંદકી ન ફેલાવવી જોઈએ. આ તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો એ પણ આપણું જ ઘર છે, તેને સ્વચ્છ રાખવાની આપણી જ જવાબદારી છે, તેવા સંદેશ સાથે આજે અમારી ટીમ સ્થાનિક પર્યટન કાર્યાલયના કર્મચારીઓ સાથે મળીને સ્વચ્છતા કાર્ય કરી સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે આવ્યા છીએ.