
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારે પંચાયત વિભાગ પાસેથી માહિતી માગી
ઇકબાલ મેમણ હિંમતનગર
અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક-પટાવાળા મહામંડળ દ્વારા પંચાયતોમાં નજીવા વેતને ફરજ બજાવતા અંદાજે ૧૦ હજાર કરતા વધારે કર્મચારીઓની વર્ષો જૂની માગણીઓનો નજીકના સમયમાં સુખત અંત આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારે આવા કર્મચારીઓની પંચાયત વિભાગ પાસે માહિતી માગી છે અને નજીકના દિવસોમાં કર્મચારીઓની માગણીઓ ઉકેલાઈ શકે છે. વર્ષોથી મહેનતાણું વધે અને અન્ય સરકારી લાભ મળે તેની રાહ જાેઈને બેઠેલા કર્મચારીઓમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે.
આ અંગે અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળના પ્રમુખ મનુસિંહ સી.રાઠોડે કહ્યું કે, રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં ક્લાર્ક-પટાવાળા તરીકે અંદાજે ૧૦ હજારથી વધારે કર્મચારીઓ નજીવા મહેનતાણે વર્ષોથી સેવા આપી રહ્યા છે. કેટલાય કર્મચારીઓ ૨૦થી ૨૫ વર્ષ કરતાં વધારે સમયથી ફરજ બજાવી રહ્યા છે અને આવા કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધરે તેમજ સરકારના અન્ય મળવાપાત્ર લાભ મળે તે માટે વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટમાં પણ આ મામલે પીઆઈએલ કરવામાં આવી હતી. તાજેતરમાં જ સરકારે પંચાયત વિભાગ પાસેથી રાજ્યભરમાં કામ કરતા આવા ક્લાર્ક પટાવાળાની માહિતી માગી છે અને આવનારા દિવસોમાં વર્ષો જૂની માગણીઓનો સુખદ અંત આવી શકે છે.
આજે પણ પંચાયતોમાં ૫૦૦થી ૧૫૦૦ના નજીવા દરે એવા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે કે જેઓ નિવૃત્તિના આરે આવીને ઊભા છે. આવા કર્મચારીઓને નિવૃત્તિના સમયે કોઈ જ આર્થિક સહાય મળવાપાત્ર બનતી નથી. મહામંડળના પ્રમુખે વધુમાં કહ્યું કે, વખતો વખત સરકારમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને હવે સરકારે સંવેદનશીલતા દાખવીને પંચાયત વિભાગ પાસેથી કર્મચારીઓની માહિતી માગી છે અને નજીકના દિવસોમાં અમારી માગણીઓનો સુખદ અંત આવશે તેણે લઈ મહામંડળમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે. આગામી દિવસોમાં મહામંડળની માગણીઓ મામલે સરકાર હકારાત્મક વલણ દાખવી શકે છે અને વર્ષો જૂની માગણીઓનો સુખદ ઉકેલ આવી શકે છે.