
ભારતીય શિક્ષણ મંડળ અને ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ” વિષય પર 5 નવેમ્બર 2023 ના રોજ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ સ્થિત કેમ્પસ મુકામે યોજાયેલ આ કાર્યશાળામાં ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંત અને સૌરાષ્ટ્ર પ્રાંત સાથે જોડાયેલ કુલ 200 જેટલા અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, અધ્યાપકો, શિક્ષકો, શિક્ષણ સંસ્થાઓના વહીવટી અધિકારીઓ સહભાગી થયા હતા. મુખ્ય મહેમાન તરીકે ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી, શંકરાનંદજી, ડો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ના કુલગુરુ અને ભારતીય શિક્ષણ મંડળ મહિલા પ્રકલ્પના અખિલ ભારતીય પ્રમુખ ડો. અમી ઉપાધ્યાય, તેમજ સત્યવાન મેશરામજીએ ઉપસ્થિત રહી માર્ગદર્શનસહ શુભેચ્છાઓ આપી પ્રતિભાગીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ ભારતીય શિક્ષણ મંડળના પશ્ચિમ ક્ષેત્રના પાલક અધિકારી તેમજ ભારતીય શિક્ષણ મંડળ ગુરૂકુળ પ્રકલ્પના અખિલ ભારતીય પ્રમુખ ડૉ. દીપક કોઈરાલા, ભારતીય શિક્ષણ મંડળ ગુજરાત પ્રાંત અધ્યક્ષ અને ભારતીય શિક્ષણ મંડળ ગુજરાત પ્રાંત મંત્રી ડો. દીપ ત્રિવેદી, ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ નહાટા અને મંત્રી ડૉ. ઋષિરાજભાઈ ઉપાધ્યાયના વ્યવસ્થાપન માર્ગદર્શનમાં ભારતીય શિક્ષણ મંડળ ના ગુજરાત-સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારિણી ના અધિકારીઓ, સ્વયંસેવકો અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓના સહકાર અને પરિશ્રમથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સમગ્ર કાર્યશાળામાં કુલ ત્રણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ બે સત્રોમાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શંકરાનંદજી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં ભારતીય શિક્ષણ મંડળ ની ભૂમિકા, આવશ્યક કાર્યો, કાર્યક્રમો વિશે જ્ઞાનગોષ્ઠી કરી આ યુગકાર્યમાં વધુમાં વધુ પ્રદાન કરવા પ્રેરણા આપી હતી. તૃતીય સત્રમાં ભારતીય શિક્ષણ મંડળ ગુજરાત પ્રાંતના જુદાજુદા જિલ્લાઓની નવી કાર્યકારિણીની ઘોષણા તેમજ ભારતીય શિક્ષણ મંડળ ના ગુજરાત પ્રાંત તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ના અધિકારીઓ તેમજ સ્વયંસેવક પરિચય નું આયોજન થયું હતું. સમગ્ર કાર્યશાળામાં ભાગ લઈને સૌએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉત્તમ અમલીકરણ માટે વ્યક્તિગત રીતે સર્વોત્તમ પ્રદાન કરવાનો સત્સંકલ્પ કર્યો હતો.