ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે મેઘાણીનગર સ્થિત ઓ.એન.જી.સી. સ્કૂલ ખાતે મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આયોજિત ક્વિઝ અને ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા આયોજનોથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય છે અને તેમને અટલજી જેવા મહાન વ્યક્તિત્વના જીવનમાંથી શીખવાની તક મળે છે.
વાજપેયીજીનું જીવન, તેમની રાષ્ટ્રવાદી વિચારધારા અને દેશના ઉત્થાનમાં તેમના અમૂલ્ય યોગદાનથી નવી પેઢી પરિચિત થાય તે હેતુથી ‘અટલ સ્મૃતિ વર્ષ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓમાં જોવા મળેલી જિજ્ઞાસા, અદભુત સર્જનાત્મકતા અને પ્રબળ રાષ્ટ્રપ્રેમની ભાવના ઉપસ્થિત સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહી હતી..