પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે વસ્ત્રાલવાસીઓએ લીધા સંકલ્પ: સ્વચ્છતા, વ્યસનમુક્તિ તેમજ અંગદાન-રક્તદાન સહિતના સંકલ્પ લીધા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બાઇક રેલી અમદાવાદના વસ્ત્રાલ મેટ્રો ચોકડી પાસે પહોંચતાં સ્થાનિક નગરજનો દ્વારા તેનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક રેલીનું નેતૃત્વ કરી રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત તમામ બાઇકર્સ પર નાગરિકોએ પુષ્પવર્ષા કરીને ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વસ્ત્રાલ વિસ્તારના જાગૃત નાગરિકોએ પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે વ્યક્તિગત અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંકલ્પ પત્રો ભરીને નાયબ મુખ્યમંત્રીશ્રીને સુપરત કર્યા હતા.

આ સંકલ્પ પત્રોમાં નગરજનોએ અંગદાન, રક્તદાન, સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહયોગ, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને યથાશક્તિ સહાય પહોંચાડવા જેવા વિવિધ સેવાકીય વિષયો પર અડગ સંકલ્પ લીધા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાગરિકોના આ ઉત્સાહ અને સેવાભાવને બિરદાવતાં જણાવ્યું હતું કે, જનકલ્યાણ અને સેવાનો આ સંકલ્પ જ સાચા અર્થમાં પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને ઉત્તમ ભેટ છે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.