
કુલ રૂા.૨.૬૪ કરોડના કુલ ૧૨૨ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્તનો લાભ પ્રજાજનોને મળશે





દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન વંદે ગુજરાત રથ યાત્રા ‘ નવસારી જિલ્લાના ગામેગામ ફરી યોજનાકીય જાણકારી આપશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગામેગામ મોટી સંખ્યામાં લોકો લાભ લે તે માટે સારુ સુચારુ આયોજન ઘડી કાઢયું છે.
જે અન્વયે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ના બીજા દિવસે નવસારીના ભુલાફળિયા ખાતે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત સીટ ખડસુપામાં કુલ રૂા.૨.૬૪ કરોડના કુલ ૧૨૨ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત નો લાભ પ્રજાજનોને મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજયના દરેક જિલ્લામાં ફરી રહયો છે. આ રથ થકી રાજય સરકારશ્રીની વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડાશે તેમજ ગામડે ગામડે ફરી ગ્રામજનોને સરકારની યોજનાઓ વિશે જાગૃત કરી લાભ લેવા જણાવશે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારથી ધુરા સંભાળી છે ત્યારથી રાજય અને દેશનો અવિરત વિકાસ થઇ રહયો છે. સરકારશ્રીના વીસ વર્ષોના વિકાસની ગાથા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને નવસારી જિલ્લાના ગામેગામ પહોંચી લાભાર્થીઓને વિવિધ લાભો સાથે યોજનાકીય જાણકારી આપવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સહાય, મંજૂરી પત્રો, સાધન સહાય વિગેરે પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના પ્રારંભમાં વિકાસ રથ આવી આવી પહોંચતા ધારાસભ્યશ્રી તેમજ ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.
આ અવસરે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દર્શનાબેન, સરપંચશ્રી બીજલબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.
