સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

જામનગર ( ભરત ભોગાયતા)

સૈનિક સ્કૂલ બાલાચડીએ 15 ઑગસ્ટ 2022ના રોજ તેના સ્કૂલ કેમ્પસમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સૈનિક સ્કૂલ તીલૈયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને 31 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સૌરવ વત્સ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે શહીદોના યુદ્ધ સ્મારક, શૌર્ય સ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન અને ત્રિરંગો ફરકાવ્યો. મુખ્ય મહેમાનના આગમન પહેલા સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતરગત યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત સ્કૂલ ઓડિટોરિયમમાં મુખ્ય અતિથિના સ્વાગત સાથે થઈ હતી. કેડેટ ક્રિશા વાઢેર અને કેડેટ રમણે અનુક્રમે હિન્દી અને અંગ્રેજીમાં સ્વતંત્રતા દિવસના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું. બાલનિકેતન, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ આ દિવસે તેમના મંતવ્યો શેર કર્યા હતા. કેડેટ્સ અને સ્ટાફ દ્વારા ગાયેલા મધુર દેશભક્તિના ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાયેલ આંતર સદન અંગ્રેજી નિબંધ સ્પર્ધા, કાવ્યપાઠ સ્પર્ધા અને પેઈન્ટીંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિએ તેમના સંબોધનમાં દરેકને 76માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવ્ય કાર્યક્રમ માટે કેડેટ્સ અને સ્ટાફની પ્રશંસા કરી હતી તથા પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમામને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે સૈનિક સ્કૂલ તીલૈયાના વિદ્યાર્થી તરીકેના તેમના અનુભવો શેર કર્યા. તેમના સંબોધનમાં મુખ્ય અતિથિએ દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી પર ભાર મૂક્યો હતો અને કેડેટ્સને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ વ્યક્તિત્વના ઘડતર અને સખત મહેનત કરવાની સલાહ આપી હતી. તેમણે તેમના સપના સાકાર કરવા માટે સ્કૂલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સશસ્ત્ર દળો આપણને આત્મગૌરવ, કરુણા અને દયાની લાગણી આપે છે જે આપણે અન્ય લોકોને પણ આપી શકીએ છીએ.
આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ કર્નલ શ્રેયશ મહેતાએ સ્મૃતિચિહ્ન તરીકે મુખ્ય મહેમાનને સ્કૂલનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. મુખ્ય અતિથિએ સ્કૂલની લીડર્સ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.
સ્કૂલના ઉપાચાર્ય લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર દ્વારા પ્રસ્તાવિત આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
અંતે આચાર્યશ્રી કર્નલ શ્રેયશ મહેતાએ સૈનિક સ્કૂલ બાલાચડીના સ્ટાફ અને કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો અને ઉજવણીને ભવ્ય ઇવેન્ટ બનાવવા માટેના અથાક પ્રયત્નો માટે સંબંધિત તમામની પ્રશંસા કરી હતી. તેમણે સ્વતંત્રતા દિવસના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને કેડેટ્સને તેમના પોતાના અનુભવો કહ્યાં હતા અને તેમણે સપનાઓને જીવવા માટે જ નહીં પરંતુ તેને સાકાર કરવા માટે પણ પ્રેરિત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *