

રિપોર્ટ : ચિરાગ પાંડેય
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે આજે સવારે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દોડના પ્રારંભ પૂર્વે મોરબીમાં સર્જાયેલી કરુણ દુર્ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને મૃતાત્મા માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રની એકતા અને સુરક્ષા માટે શપથ લેવામાં આવ્યા હતા.આ રેલીમાં કોર્પોરેશન, પોલીસ અને વહીવટી તંત્ર તેમજ દોડવીરો, ખેલાડીઓ અને શહેરીજનો જોડાયા હતા. દેશની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા, નાગરિકોમાં ભાઇચારાની ભાવના જાળવવા, નવી પેઢીમાં આ સંસ્કારોનું સિંચન થાય તેમજ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે તેવા હેતુથી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી કે જે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે તેની ઉજવણી પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી સયાજીબાગના ગેટ નંબર ર-થી શરૂ થઈ હતી. જે પંચમુખી હનુમાન મંદિરથી કીર્તી મંદિર રોડ થઈને સરકારી છાપખાનાથી કોઠી ચાર રસ્તાથી જેલ રોડ થઈ કાલાઘોડાથી પસાર થઈને સયાજીગંજ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી.

